મન મોર બની થનગાટ કરે…વડોદરામાં દિવ્યાંગોએ ખેલ્યાં અનોખા ગરબા

વડોદરા-નવરાત્રિનો ઉમંગ ખેલૈયાઓના પગમાં એવો થનગનાટ ભરતો હોય છે કે ગમે તેવા દિવસભરની દોડધામમાં થાક્યાં હો તો પણ ડાંડીયાનો સૂર સાંભળતાં ગરબે ન ઘૂમવું બની શકે નહીં. જો કે કેટલાક વિશેષ ગરબાપ્રેમીઓ એવા પણ હોય છે જેમના માટે ગરબા રમવા માટે પરિસ્થિતિ અનુકૂળ નથી હોતી. વડોદરામાં એવા વિશેષ ખૈલૈયાઓ માટે સ્પેશિયલ સગવડ કરીને શુક્રવારે ગરબા નાઈટ યોજવામાં આવી હતી.વડોદરામાં 18 વર્ષથી દિવ્યાંગો માટે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દિવ્યાંગો માટે ખાસ ગરબા આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ગરબા યોજાયાં જેમાં પૂર્ણ ઉત્સાહ સાથે દિવ્યાંગોએ સમાજના અન્ય સભ્યો સાથે કાખઘોડીના સહારે અને વ્હિલચેર પર બેસીને ગરબાં લીધાં. તેઓને ગરબા ખેલાવવા માટે વડોદરા સહિત અન્યત્રથી પણ જુદીજુદી સંસ્થાઓના સભ્યોએ તેમને વિવિધ પ્રકારે ગરબાં ખેલાવી આનંદઆનંદ કરાવી દીધો હતો જેનો સંતોષ દિવ્યાંગ ખૈલેયાઓને જોતાં જ બનતો હતો. જેમાં અમદાવાદના શ્રી મા મહાદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હરિ ઓમ શ્રી પરિવારના યુવાનો, કિશોરો અને ગૃહિણીઓ રંગેચંગે વિકલાંગો સાથે ગરબા ખેલી માહોલ જમાવ્યો હતો.દિવ્યાંગો માટે સર્વપ્રકારે સુવિધાજનક માહોલને લઇને તેઓએ મન મૂકીને પોતાના પરિવાર અને મિત્રવર્તુળ સાથે નવરાત્રિનો શક્તિભક્તિનો લહાવો લીધો હતો. તેમને લાવવા-લઈ જવા વાહનની સગવડ પણ કરવામાં આવી હતી. વળી આદ્યશક્તિને આંગણે આવ્યાં હોય અને ભોજનની વ્યવસ્થા ન હોય તે કેમ બને..તેઓ ભોજનપ્રસાદ પણ ઉપલબ્ધ કરાવાયો હતો. આમ દિવ્યાંગોને અનુકૂળ એવી વ્યવસ્થાને લઇને તેઓએ ગરબા ખેલવાનો ભરપુર આનંદ ઉઠાવ્યો હતો તેમ ગરબા આયોજક કાઉન્સિલર રાજેશ આયરેએ જણાવ્યું હતું.આ વર્ષે ખેલાયેલા લગભગ 4500 જેટલા દિવ્યાંગોએ આ ખાસ ગરબા મહોત્સવમાં ભાગ લીધો હતો. વિકલાંગ ગરબાની કેટલીક મનલુભાવન તસવીરોની ઝલક માણીએ…