રુ.3222 કરોડના રોકાણ સાથે છારા બંદરનો વિકાસ કરાશે

ગાંધીનગર- વિધાનસભા ગૃહમાં બંદરો અને વાહનવ્યવહાર વિભાગની અંદાજપત્રીય માગણીઓઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે મુખ્ય-ગૌણ બંદરો મળીને દેશ કુલ માલપરિવહનના ૩૦ ટકાથી વધુ કાર્ગો પરિવહન કરીને ટોચનું સ્થાન હાંસલ કર્યુ છે.

બંદર વિકાસ નીતિ અંતર્ગત ગીરસોમનાથ જિલ્લાના છારા બંદરના ખાનગી રોકાણ – બિલ્ડ, ઓન ઓપરેટ એન્ડ ટ્રાન્સફર  BOOT હેઠળ પસંદગી કરવામાં આવી છે. આ બંદરના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૮માં મેસર્સ શાપુરજી પાલોનજી એન્ડ કુાં. લિ.ને મંજૂરી આપવામાં આવી છે. આ બંદરના પ્રથમ તબક્કાના વિકાસ માટે અંદાજે રુપિયા 3222 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ બંદરમાં કોલ બર્થ અને એલ.એન.જી ટર્મીનલનો વિકાસ કરવામાં આવશે.

વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે કોડીનાર પાસેનું મૂળ દ્વારકા બંદર માલની આયાતનિકાસમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન આ બંદર ઉપરથી કુલ ૯૫.૯૭ લાખ ટન માલસામાનની આયાતનિકાસ કરવામાં આવી છે. મૂળ દ્વારકા બંદર ઉપર ૨૨૪ મિટરની જ્યારે નર્મદા ખાતે યાત્રીઓની પરિક્રમા માટે રૂા. ૬ કરોડના ખર્ચે નર્મદા પરિક્રમા જેટી માર્ચ ૨૦૧૮ સુધીમાં તૈયાર કરાશે.

આ ઉપરાંત ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે સરહદી ગતિવિધિ ઉપર નજર રાખવા બોર્ડર સીક્યૂરિટી ફોર્સના ઉપયોગ માટે રૂા.૨૦૦ કરોડના ખર્ચે આધુનિક જેટીનું નિર્માણ કરવામાં આવશે. મેરિટાઇમ ક્ષેત્રે જેવા કે, મેરિટાઇમ ઇકોનોમિક્સ, પોર્ટ મેનેજમેન્ટ, મેરિટાઇમ ફાઇનાન્સ, મેરિટાઇમ કાયદા અને લોજિસ્ટિક પ્લાનિંગના વિવિધ કોર્સ માટે ગુજરાત સરકારે ૨૦૧૭માં ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી આપવાની મંજૂરી આપી છે.