ગુજરાતઃ 7.73 લાખ લાભાર્થીઓને ચૂકવાઈ આટલી સબસિડી

ગાંધીનગર- મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂત ખાતેદારોને સબસિડી ઝડપથી ચૂકવવા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રાજયના ૯૬ તાલુકાઓમાં ૭.૭૩ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને ક્રોપ ઈનપુટ સબસીડી પેટે રૂ. ૭૬૨ કરોડથી વધુની સબસિડી ચૂકવવામાં આવી છે.

મહેસૂલ પ્રધાને રાજ્યમાં પ્રવર્તમાન અછતની પરિસ્થિતિ અંતર્ગત કરવામાં આવી રહેલ રાહત કામગીરી અંગે વિગતો આપતા જણાવ્યું કે, અછતગ્રસ્ત જાહેર કરેલા ૫૧ તાલુકાઓમાં પશુઓ માટે આજદિન સુધી ૬૪૮.૬૨ લાખ કિ.ગ્રા. ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. કેટલ કેમ્પમાં હાલમાં કચ્છ જિલ્લામાં કાર્યરત કુલ ૨૩૬ ઢોરવાડામાં ૧.૪૫ લાખથી વધુ પશુઓને આશ્રય આપવામાં આવ્યો છે. અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ ૧૧ જિલ્લાના ૫૧ તાલુકાઓની ૪૪૪ રજી. ગૌશાળા/પાંજરાપોળમાં આશ્રય લઈ રહેલાં ૨.૫૯ લાખથી વધુ પશુઓ માટે પશુ સહાય પેટે રૂ. ૩૫.૭૮ કરોડની ચુકવણી કરવામાં આવી છે.

દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ ૩૬૫૫ કામો ચાલુ છે. આ કામ પર ૫૫૦૬૨ જેટલા શ્રમિકો શ્રમદાન દ્વારા રોજગારી મેળવી રહ્યાં છે. જેમાંથી અત્યાર સુધીમાં ૫૭.૯૪ લાખ જેટલી માનવ દિન રોજગારી પૂરી પાડવામાં આવી છે.