2જું વૈશ્વિક નજરાણુંઃ દેશનું સૌપ્રથમ ડાયનાસોર ફોસિલ પાર્ક, મ્યૂઝિયમ ખુલ્લું મૂકાશે

ગાંધીનગર: ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતને વિશ્વમાં નામના અપાવતો આશરે બાવન હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલો ડાયનાસૌર અને ફોસિલ પાર્ક આગામી દિવસોમાં બાલાસિનોર ખાતે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.  પ્રવાસનપ્રધાન જવાહર ચાવડાએ બાલાસિનોર ખાતે આકાર પામી રહેલા ડાયનાસૌર અને ફોસીલ પાર્કની મુલાકાત વેળા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતનો આ ડાયનાસૌર અને ફોસિલ પાર્ક દુનિયાનો ત્રીજો સૌથી મોટો વિશિષ્ટ પાર્ક બની રહેશે.

પ્રવાસનપ્રધાને રૈયોલી, બાલાસિનોરની ગઇકાલે મુલાકાત લીધી હતી અને સમગ્ર બાંધકામની પ્રક્રિયાનું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કર્યું હતું. હાલમાં આ ડાયનાસૌર અને ફોસિલ પાર્કનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી સમયમાં તેનું ઉદઘાટન થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મધ્ય ગુજરાતનું આ નવાબી નગર બાલાસિનોર, કે જ્યાં આજથી ૩૬ વર્ષ પહેલાં જેના અવશેષો મળ્યાં હતાં એ વિશાળકાય ડાયનાસૌરના લગભગ ૬૫ મીલિયન વર્ષના ઈતિહાસને આજે રજૂ કરતું ભારતનું સૌ પ્રથમ અદ્યતન ‘ખોદકામથી પ્રદર્શન’ સુધીની ગાથા કહેતું માહિતીસભર મ્યુઝિયમ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહ્યું છે, જે ટૂંક સમયમાં ખુલ્લુ મૂકવામાં આવશે. આ મ્યુઝિયમ વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું હશે, જેમાં ડાયનાસૌરના રહેઠાણ, એની ટેવો, ખોરાક અને એના જીવનને લગતી અન્ય માહિતી વિવિધ સ્વરૂપે મૂકવામાં આવી છે.    

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદી પૂર્વે બાલાસિનોર ‘બાલાસિનોર રાજ્ય’ નામે ઓળખાતું બાબી વંશનું નવાબી રાજ્ય હતું. અહી, મરાઠા અને અંગ્રેજોનું શાસન રહી ચૂક્યું છે.અમદાવાદથી લગભગ ૯૦ કીલોમીટર દૂર આવેલા બાલાસિનોરથી થોડાક જ અંતરે આવેલા રૈયોલી ગામે પ્રથમવાર ૧૯૮૩માં અને ત્યારબાદ, અનેકવાર પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ડાયનાસૌરના અનેક અવશેષો મળ્યા હતા. બાલાસિનોરથી ૧૧ કીલોમીટરના અંતરે આવેલ રૈયોલી ગામ પેલિયોન્ટોલોજિસ્ટનું વર્ષોથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પેલિયોન્ટોલોજિસ્ટ માને છે કે ડાયનાસોરની લગભગ સાત જાતિઓ અહીં રહેતી હતી. અહીથી સંશોધકો દ્વારા ડાયનાસૌર આશરે દસેક હજાર જેટલાં ઇંડાના અવશેષો શોધ્યા છે.

આ વિશ્વનું બીજી સૌથી મોટું અકુદરતી સ્થળ છે જ્યાંથી ડાયનોસૌરના સારી હાલતમાં કેટલાંક ઈડા મળ્યા હોય. જે આ ગામને ડાયનાસૌરની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસીલ વસાહત પણ પૂરવાર કરે છે. અગાઉ ૨૦૦૩માં, અહીંથી નવી પ્રજાતિઓ પણ શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસૌરસ રેક્સ કુળની હતી. એના ઈંડા એટલા વિશાળ કડાણા હતા કે તેનું રાજાસૌરસ નર્માન્ડેન્સિસ – નર્મદાના રાજા’ એવું નામ રાખવામાં આવ્યું હતું, એના હાડકાં નર્મદાના કિનારાના સ્થળો પરથી પાપ્ત થયા હતા. 2003માં જે હાડકાં મળ્યાં હતાં એમાં, મગજના હાડકાં, કરોડરજ્જૂ, થાપાનાં હાડકાં, પગ અને પૂંછડીના હાડકાનો સમાવેશ થાય છે.

ડાયનોસૌરના અતિપ્રાચીન ઈતિહાસ અને રૈયોલી ગામના મહત્વને લઈને પ્રવાસીઓ તથા અભ્યાસુઓને જરૂરી સુવિધાઓ મળી રહે એ હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી – બાલાસિનોર ખાતે ઇન્ફોર્મેટીક સેન્ટરનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં પ્રદર્શનના મુખ્ય આકર્ષણોમાં ટાઈમ-મશીન, વિશ્વ અને ગુજરાતનાં અલગ અલગ ડાયનાસૌરના અવશેષનું કલાત્મક પ્રદર્શન હશે જેમાં, આલિયા સુલ્તાન બાબીના સંગ્રહમાંથી મેળવેલા ફોસીલ એગ્સ, અને હાડકાં હશે. ૫-ડી થીયેટર, ૩-ડી ફીલ્મ, મેસોઝોઈક સમયનું આબેહૂબ વાતાવરણ, મ્યુઝીયમ, અલ્પાઆહાર ગૃહ, સોવેનીયર શોપ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય વગેરેની સુવિધાઓ હાથ ઊભી કરવામાં આવી રહી છે તથા ડાયનાસોર ડિસ્પ્લે, મ્યુઝીયમને અનુરૂપ આકર્ષક મુખ્ય પ્રવેશદ્વારની રચના, રાજાસૌરસ ડાયનાસોરનું સ્ક્લ્પ્ચર, ઈવોલ્વ્યુશન ઓફ અર્થનું ડિઝીટલ ડિસ્પ્લે, વોલ-આર્ટ વગેરેનો સમાવેશ થાય છે.

 

આ સમગ્ર ડાયનોસૌર પાર્ક સંકૂલ તૈયાર થતાં એની જાળવણી અને નિભાવણી માટે રાજ્ય સરકાર દ્વારા એક ‘ફોસીલ પાર્ક વિકાસ સોસાયટી’ બનાવવામાં આવી છે. ઘણા વર્ષોની મહેનત અને લોકોને સમજાવના કારણે આલિયા બાબી આ તમામ ફોસીલ્સ અને સાચવવામાં સફળ રહી છે. જે લોકો આ બાબતના મહત્વથી અજ્ઞાન છે, એવા લોકોથી બચાવી, સાચવીને એકઠા કરાયેલા આ ૬૫ મીલીયન વર્ષ જૂના અવશેષોને આ મ્યુઝિયમ બનતાં મૂળ સ્થિતિમાં જાળવવા સરળ રહેશે.

બાલાસિનોર મઢી ગુજરાતનું એક રમણીય સૌંદર્ય ધરાવતું એતિહાસિક નગર છે અને એની આસપાસ અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે. જેમાં, સુદર્શન તળાવ, કેદાર મહાદેવ, ભીમભમરડા, હનુમાન ટેકરી, ડાયનાસૌરપાર્ક રૈયોલી ગામે (બાલાસિનોર થી ૧૧ કિ.મી), કેડીગઢ મહાકાલી મંદિર (બાલાસિનોર થી રર કિ.મી), જૂનું પ્રચીન લીલવણીયા મહાદેવ મદિર (જેઠોલી), અંબાજી મંદિર, મધ્યગુજરાતની સિંચાઈ અને પાણીની જરૂરિયાત પૂરી પાડતો વણાકબોરી ડેમ મહત્વનો છે.