પાર્ટીમાં થઈ રહેલી અવગણનાથી નારાજ કુંવરજી બાવળીયા રાહુલને મળ્યાં

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ઉહાપોહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં અસંતોષ અને નારાજગી પાર્ટી માટે લાલબત્તી સમાન છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા કુંવરજી બાવળીયા પણ પાર્ટીમાં થઈ રહેલી પોતાની અવગણનાથી નારાજ ચાલી રહ્યા છે. પોતાનો અસંતોષ દૂર કરવા માટે કુંવરજી બાવળીયાએ દિલ્હી જઈ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

મહત્વનું છે અત્યાર સુધી કુંવરજી બાવળીયા પોતાની નારાજગી વિશે કશું ખુલીને કહેતા નહોતા પરંતુ હવે જ્યારે કુંવરજી બાવળીયાએ પોતાના અસંતોષ અંગે જાહેરાત કરી છે ત્યારે પાર્ટીમાં પણ ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે કુંવરજી બાવળીયા પાર્ટીમાં થઈ રહેલી પોતાની અવગણનાથી ચોક્કસ નારાજ છે.

મહત્વનું છે કે જસદણ કોંગ્રેસનો ગઢ ગણવામા આવે છે. મોદી લહેર હોવા છતા અહીં કોળી નેતા કુંવરજીભાઇ બાવળિયાનો પહેલાથી જ દબદબો રહ્યો છે. તો સાથે જ કુંવરજી બાવળીયા વરિષ્ઠ નેતાઓ પૈકી એક નેતા પણ છે. ત્યારે આમ છતા પણ કુંવરજી બાવળીયાની અવગણના કોંગ્રેસ પાર્ટીમાં થઈ રહી છે.