સિવિલમાં બાળકોના મોતની તપાસ સિટિંગ જજ કરેઃ કોંગ્રેસની માગણી

અમદાવાદસિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે છેલ્લા થોડાં દિવસોમાં અનેક બાળકોના મૃત્યુ થયાં છે તે સરકારની ગુન્હાહિત બેદરકારીની કારણે થયાં હોવાનું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે મહાલેખાકારના ઇન્સ્પેકશનના રીપોર્ટની નકલ પ્રેસ અને મીડિયા સમક્ષ રજૂ કરીને જણાવ્યું હતું. આ સાથે સમગ્ર મામલે સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવે તેવી માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.ઇન્સ્પેકશનના રીપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇન્સ્પેકશન રીપોર્ટમાં સ્પષ્ટ રીતે નોંધાયું છે કે બાળકોના આરોગ્ય માટે અત્યંત જરુરી વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં નથી. સિવિલના નિઓ નેટલ આઈસીયુ વોર્ડ ( તાજા જન્મેલા બાળકોનો વોર્ડ ) ૨૪ કલાક બાળકોની સંભાળ જરૂરી હોય છે. તાજું જન્મેલ બાળક ઉલટી કરે, તેને તાવ આવે કે તકલીફ થાય તો તે ફરિયાદ કરી શકતું નથી માટે ૨૪ કલાક મોનેટરીગના CCTV લગાડવા અને અદ્યતન ટેકનોલોજીની સહાય લેવા ૧૮-૧૨-૨૦૧૩ તથા ૧૨-૦૬-૨૦૧૫ના રોજ જણાવાયું હોવા છતાં કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. પ્રસૂતિ વોર્ડ તથા તાજા જન્મેલા બાળકોના વોર્ડ  CCTV વગરના જ છે જેની સાબિતીરૂપે બંને વોર્ડની વિડીયો પણ દર્શાવવામાં આવી હતી.

મહાલેખાકારના ઈન્સ્પેકશન રીપોર્ટમાં જણાવાયાં પ્રમાણે ગંભીર દર્દીના રુમમાં બરાબર ઉષ્ણતામાન રહેવું જોઈએ અને ચેપ ન લાગે તે માટે પુરતી વ્યવસ્થા જોઈએ. પરંતુ સિવિલ હોસ્પીટલના ટ્રોમા સેન્ટરમાં એ.સી. વારંવાર રીપેરમાં રહે છે. ડસ્ટ ફિલ્ટર્સ/એર ફિલ્ટર્સ ખૂબ જ જરૂરી છે પણટ્રોમા સેન્ટરમાં આપવામાં આવ્યાં જ નથી.

ઇન્સ્પેકશન રીપોર્ટમાં નોંધેલ છે કે, નાનાં બાળકોને ફળનો જ્યુસ, સૂપ, દૂધપૌંવા વગેરેમાંથી કંઇ જ અપાતું નથી. સફાઈ બરાબર થતી નથી. એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સીસ્ટમ નાખવામાં નથી આવી.