માધવપુરને મેળે મોજેમોજ, CM રુપાણીએ મહાનુભાવો સાથે મેળો માણ્યો

માધવપુર– રળીયામણાં માધવપુર-ઘેડમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નપ્રસંગે યોજાતા પરંપરાગત લોકમેળાનો પ્રારંભ થઇ ગયો છે. આ વર્ષે માધવપુરના મેળાને આ વખતે હાઇટેક ટચ આપવામાં આવ્યો છે. આ મેળાની મોજ લેવા મણિપુર અને અરુણાચલપ્રદેશના મુખ્યપ્રધાનો સહિત સીએમ વિજય રૂપાણીએ પણ મુલાકાત લીધી હતી.અહીં એક પ્રદર્શન પણ યોજાયું છે જેમાં એક ભાગમાં પ્રાદેશિક હસ્તકલા કારીગરોનું પ્રદર્શન યોજાયું છે. તેમાં સૌરાષ્ટ્રની કલાની ઓળખ આપતી હસ્ત કલાકારીગીરીની વસ્તુઓનું પ્રદર્શન યોજાવામાં આવ્યું છે. આ ઉપરાંત તાંબા પિત્તળના વાસણો, ગૃહ સુશોભનની વસ્તુઓની કારીગીરી અને કલાત્મકતા અદભૂત છે. જયારે પ્રદર્શનના બીજા ભાગમાં ભગવાન શ્રીકૃષ્ણની જીવનલીલાને આલેખતા ભરતકામ અને ચિત્રકળાની વિવિધ રાજયની કૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. એમાં ખાસ કરીને પૂર્વોત્તર રાજયની કલાકૃતિઓની અદભૂત કારીગરી નજરે ચડે છે. 

આ ઉપરાંત અન્ય સ્થળે મેદાનમાં વિવિધ સ્ટોલ્સ ઉભા કરીને રાજય અને કેન્દ્રની વિવિધ વિભાગોની કામગીરી અને યોજનાઓને લગતી લોકહિતની જાણકારી આપતું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં નશાબંધી, દહેજપ્રથા નાબુદી, વ્યસન મુક્તિ, સ્વચ્છતા અભિયાન, ખાસ કરીને યુવાનોને દેશભક્તિ માટે પ્રેરીત કરે તેવું નેશનલ કેડેટ કોરની પ્રવૃતિઓ દર્શાવતું અને સેનાના આધુનિક શસ્ત્રો અને યુધ્ધ જહાજોની પ્રતિકૃતિઓ દર્શાવતા પ્રદર્શને લોકોમાં આગવું આકર્ષણ જગાવ્યું છે.

વધુ તસવીરો…