CM રુપાણીએ UPSC પાસ કરનારાં 20 ઉમેદવારોને કર્યાં સન્માનિત

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીના નિવાસસ્થાને યોજાયેલાં એક નાનકડાં કાર્યક્રમમાં યુનિયન પબ્લિસ સર્વિસ કમિશન-યુપીએસસીની સિવિલ સર્વિસિઝ પરીક્ષા ૨૦૧૭માં ફાઇનલ સિલેક્શન માટે પસંદ થયેલા ગુજરાતના 20 ઉમેદવારોને પુરસ્કૃત કર્યાં હતાં. સફળ ઉમેદવારો અને તેમના પરિવારજનો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને શુભેચ્છા સૌજન્ય મુલાકાતમાં સીએમે યુવાઓને રાષ્ટ્રહિત તેમ જ સમાજના વંચિત, પીડિત, ગરીબ વર્ગોના હિતને હૃદયે રાખી નિષ્ઠાપૂર્વક સેવા દાયિત્વ અદા કરવા પ્રેરણા આપી હતી. UPSCમાં ફાઇનલ પસંદગી પામેલાં ઉમેદવારો વતી ૩ સફળ ઉમેદવારોએ પોતાના અનુભવો વર્ણવ્યાં હતાં.મુખ્યપ્રધાને રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજના અન્વયે UPSC ફાઇનલ પસંદગી પામેલા ગુજરાતના વતની પ્રત્યેક યુવાઓને રૂ. ૫૧ હજાર અને ૩ દીકરીઓને રૂ. ૬૧ હજારના ચેક તેમ જ પ્રશસ્તિપત્ર અને શિલ્ડથી સન્માનિત કર્યા હતાં.આ તમામ ઉમેદવારે રાજ્ય સરકાર સંચાલિત સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થામાંથી તાલીમ મેળવીને સફળતા હાંસલ કરી છે.

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થામાં તાલીમ મેળવી ઉચ્ચ સનદી સેવાઓમાં ફાઇનલ સિલેક્શન પામનારા યુવાઓની સંખ્યા ૨૦૧૪માં ૨૦, ૨૦૧૫માં ૧૭, ૨૦૧૬માં ૧૯ તેમ જ ૨૦૧૭માં ૨૦ની રહી છે.