સરહદી ગામોમાં સૈનિક શાળાઓ શરુ કરવા સરકારની વિચારણા

ખાવડા– યુવાનોને ભારતીય સૈન્યમાં જોડાવાની પ્રેરણા મળે તે હેતુથી સરહદી ગામોમાં સૈનિક શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકારની ઇચ્છા હોવાની વાત સીએમ વિજય રુપાણીએ વ્યક્ત કરી હતી. તેઓ ક્ચ્છની ખાવડા બોર્ડરની મુલાકાતમાં જવાનો માટે એરકુલર તથા વોટરકુલરની ઉપલબ્ધ કરાવી સુવિધા – ભેડિયાબેટ હનુમાન મંદિરનો પુનઃનિર્માણનો શિલાન્યાસ કરતાં સમયે આમ જણાવ્યું હતું. સીએમ  વિજય રૂપાણી કચ્છ મુલાકાતે વોટરકૂલર પહોંચાડવાના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. તેમણે ખૂબ કપરી પરિસ્થિતિમાં સીમાની સુરક્ષા કરતા બીએસએફ જવાનોને, કચ્છના સાંસદની 10 લાખની ગ્રાન્ટ તેમ જ અન્ય દાતાઓના સહયોગથી 275 એર કુલર અને 100 જેટલા વોટર કૂલર ભેટ આપ્યાં હતાં.

ઉપરાંત કચ્છ સરહદ પર સ્થિત હનુમાન મંદિરનો રૂ. 2 કરોડના ખર્ચે પુન:નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો.આ સાથે દેશની સુરક્ષાની ફરજ બજાવતા સૈનિકોની કોઇપણ જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું હતું. ઉપરાંત રાજ્યના યુવાનો સૈન્યમાં જોડાય તે માટે મુખ્યપ્રધાને સરહદના ગામોમાં સૈનિક શાળાઓ ખોલવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે તાજેતરમાં કચ્છના શિકરા ગામ અને અંજારના ખેડોઈ નજીક અકસ્માતમાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, બંન્ને પરિવારને કુલ રૂ. 15 લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી હતી