આ છે મૂર્તિ મેળાના સરનામાં, માટીની મૂર્તિ નહીં મળવાની ફરિયાદ કરાશે દૂર

અમદાવાદ- ગણેશોત્સવ જ નહીં વિભિન્ન પર્વપ્રસંગોમાં મૂર્તિઓની ઘણી માગ હોય છે અને પીઓપીની મૂર્તિઓ ધૂમ વેચાય છે.  પર્યાવરણ માટે નુકસાનકારક એવી પીઓપી મૂર્તિઓના બદલે માટીની મૂર્તિઓ લેવાનું ભારપૂર્વક જણાવતાં જનજાગૃતિ કાર્યક્રમો પણ થાય છે. પરંતુ લેવા જાઓ તો ક્યાંય ન મળે!  હવે આ સમસ્યા રાજ્યના ત્રણ શહેરોમાં સમાપ્ત થવા જઈ રહી છે.કારણ કે ઇકો ફ્રેન્ડલી માટી મૂર્તિઓના વપરાશ વધારવાના હેતુથી અમદાવાદ, વડોદરા અને સૂરત ખાતે માટી મૂર્તિ મેળાનું આયોજન કરાયું છે. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને આશા છે કે નાગરિકોનો સાથસહકાર મળશે.  માટીની મૂર્તિઓ બનાવતા કારીગરોને પણ આનાથી પ્રોત્સાહન મળશે. નાગરિકોને મોટી સંખ્યામાં આનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

અહીં મળશે માટીની મૂર્તિઓ

1- અમદાવાદમાં 7થી 13 સપ્ટેમ્બર દરમિયાન અર્બન હાટ, વસ્ત્રાપુર,  વકીલ સાહેબ બ્રિજની નીચે, આંબલી-બોપલ જંકશન, બોપલ; ધાવડી ફાર્મ, નેશનલ હેન્ડલુમ સામે, રાણીપ તેમ જ કચ્છ કડવા પટેલ સનાતન સમાજ નરોડા, નેશનલ હેન્ડલૂમની બાજુમાં, નરોડા રોડ, અમદાવાદ ખાતે મેળા યોજાશે.

2- વડોદરામાં 8થી 13 સપ્ટેમ્બર દરમિયાન પારસી અગિયારી મેદાન હોટલ સૂર્યા પેલેસ સામે, ડેરી ડેન સર્કલ વડોદરા ખાતે મેળો યોજાશે

3- સૂરતમાં 8થી 13 સપ્ટેમ્બર દરમિયાન હની પાર્કનું મેદાન, જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં, અડાજણ, સૂરત ખાતે માટી મૂર્તિ મેળો યોજાશે.