ચિંતન શિબિર પીપલ્સ પરસેપ્સન બદલવાની માનસિકતા બનેઃ રુપાણી

વડોદરા– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકારની નવમી ચિંતન શિબિરનું સમાપન કરાવતા સૌ અધિકારીઓને  પીપલ્સ પરસેપ્શન બદલવાની માનસિકતા અપનાવવા આહવાન કર્યું છે. ગુડ ગર્વનન્સ માટેની પહેલી શરત સરકારની ઇમેજ જનમાનસમાં પારદર્શી સંવેદનશીલ સરકારની હોય તે આવશ્યક છે. આ સંદર્ભમાં વિજયભાઈએ ગાંધીજી, સરદારસાહેબ અને નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતને સાત્વિકતા શુદ્ધતાના ભાવ સાથે પ્રજા કલ્યાણની ભાવનાથી દિવ્ય ભવ્ય ગુજરાતના નિર્માણ માટે પ્રેરણા આપી હતી.મુખ્યપ્રધાને કહ્યું કે આપણા સૌનું લક્ષ્ય દંગામુક્ત, બેકારીમુક્ત, ઝૂંપડપટ્ટીમુક્ત, ગરીબીમુક્ત, કુપોષણમુક્ત, સ્ત્રીભૃણ હત્યામુકત, અંધારામુક્ત, બાળમજૂરીમુક્ત, પ્રદૂષણમુક્ત, ગુંડાગીરીમુક્ત અને છેવાડાના માનવીના કલ્યાણયુક્ત ગુજરાત બને તે છે. ‘સર્વસુખી તો સુખી આપણે’ નો કર્મયોગ ભાવ જ ટીમ ગુજરાતની શક્તિ બનશે. મુખ્યપ્રધાને આ ચિંતન શિબિરનું વિચાર મંથન અમૃત ગુજરાતના ભાવિ વિકાસનો રોડ મેપ કંડારશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

તેમણે આ શિબિર પછી સરકારનું ફોક્સ ઉપેક્ષિત જિલ્લા ઉપેક્ષિત વિભાગો પ્રત્યે રહેશે તેમ જણાવતાં આહવાન કર્યું કે આ નબળી કડીઓ સુધારવાનો પડકાર ઉપાડવા કોઇએ દધીચિ, વશિષ્ઠ બનવું જ પડશે. મુખ્યપ્રધાને સૌ અધિકારીઓને એસર્ટિવ બની ટેકનોલોજીનો વિનિયોગ કરીને પારદર્શી સ્વચ્છ પ્રશાસન માટે અનુરોધ કર્યો હતો. તેમણે અધિકારોનો ઉપયોગ કરી ફરજ નિષ્ઠાથી કર્તવ્યરત રહીને સુશાસન તેમજ સામાન્ય માનવીના ભલા માટે વૈષ્ણવજન જેવા નિષ્કામ ભાવનો  અનુરોધ કર્યો હતો.

આ શિબિરનો હેતુ ગાંધીજીના અહિંસા, સત્યનિષ્ઠા, સ્વાવલંબન, અસ્પૃશ્યતા વિહિન, ગ્રામોત્થાનના ગુજરાતના ધ્યેય સાથે જ સરદાર સાહેબના લોખંડી મનોબળ, દ્રઢ નિર્ધાર અને ખેડૂત કલ્યાણકારી, આત્મવિશ્વાસભર સત્યના આગ્રહી ગુજરાતના નિર્માણ માટેના સમૂહ મંથન ચિંતનનો હતો. તે સુપેરે પાર પડશે એવી શ્રદ્ધા વ્યકત કરી હતી.વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ગાંધીના વિચારોથી પૂલકિત બને અને નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પયુકત પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દિવ્ય ભવ્ય ગુજરાત બને તેની ચિંતા શિબિરના હરેક સત્રમાં હરેક ચર્ચામાં જોવા મળી છે તેનો સંતોષ વ્યકત કર્યો હતો. આ ત્રિદિવસીય ચિંતન શિબિરની તુલના પુરાતન સમયમાં ઋષિ-તપસ્વીઓ પોતાની રોજબરોજની પ્રવૃતિથી મુક્ત થઇ જંગલમાં જ્ઞાનની સાધના માટે એકાંકી થતાં તેની સાથે કરી હતી.

તેમણે આ અંગે કહયું કે આપણે સૌ પ્રધાનો, અધિકારીઓ સહિત જેમના શીરે ગુજરાતનું ભલું કરવાની વંચિત, પીડિત, શોષિતના આંસુ લુછવાની જિમ્મેદારી છે તે સૌ કોઇ માટે સાડા છ કરોડ ગુજરાતીઓના કલ્યાણની નવી દિશાના વૈચારિક મંથનની આ ત્રણ દિવસની તપસ્યા સાધના શિબિર હતી.

વિજયભાઇએ સ્પષ્ટપણે  જણાવ્યું કે આ શિબિરમાં સાત જેટલા ચર્ચા સત્રોમાં સૌ કોઇએ માત્ર ફીઝીકલી પ્રેઝન્સ નહીં પરંતુ આંતરિક શકિતથી વ્યકિતગત નહીં સામૂહિક ચિંતન મનન વિચાર વિમર્શ કરીને પ્રજાના કલ્યાણનો ધ્યેય રાખ્યો છે તે રાજયની કાર્ય સંસ્કૃતિને નવી ઉંચાઇએ પહોંચાડશે. ‘અનેકતા કે મંત્ર કો સાકાર કરતા જાતા હૈ, દેશ હમારા આગે બઢતા જાતા હૈ’ ને ટાંકીને ઉમેર્યું કે આ શિબિરમાં સૌએ એકમેકના થઇને જે ચિંતન મનન કર્યું છે તે ગુજરાતને દેશમાં વિકાસમાં અડિખમ રાખશે.

સમાપન સમારોહના મનનીય વકતવ્યમાં સીએમે અધિકારીઓને પ્રેરણા આપતાં એમ પણ ઉમેર્યું કે પ્રજાની જે અપેક્ષાઓ સરકાર પાસે, વહીવટીતંત્ર પાસે છે તેને પરિપૂર્ણ કરવા આપણે ફીડબેક મીકેનીઝમ સહિતની પદ્ધતિ વિકસાવવી પડે. તેમણે નીચેના સ્તરેથી ફીડબેક મેળવવા તેમજ અઠવાડીયામાં કમ સે કમ બે દિવસ સાઇટ વિઝિટ કરીને ગ્રામ્યસ્તરે થતી કામગીરીનો તાગ મેળવવા અધિકારીઓને તાકિદ કરી હતી.મુખ્યપ્રધાને પાવર ઇઝ કરપ્ટ એન્ડ એબ્સોલ્યુટ પાવર ઇઝ મોર કરપ્ટ અંગે નુકચેતીની કરતાં કહયું કે પાવરને ડી-સેન્ટ્રલાઇઝ કરીને જરૂર જણાય ત્યાં નીચેના અધિકારીઓ પર ભરોસો વિશ્વાસ રાખીને તેમને અધિકારો પણ આપવાની માનસિકતા દાખવવી પડશે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને કયાંય કોઇ ગરબડ ન થાય એ પણ અધિકારીઓ જુએ. તેમણે ઉમેર્યું કે સરકારમાં જે ૧૦-૧૫ ટકા વ્યકિતઓ ભ્રષ્ટ તૌરતરીકાથી વાતાવરણ ડહોળે છે તેમને કડક હાથ ડામી દેવાની સજા કરીને દાખલો બેસાડવાની શરૂઆત જ બાકીના ૮૫ ટકા જે સ્વચ્છ બેદાગ છે તેમને નવું બળ આપશે.

તેમણે શ્રેષ્ઠ કામગીરી માટે પસંદ થયેલા જિલ્લા કલેકટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓને હાર્દિક અભિનંદન આપ્યા હતા. ચિંતન શિબિરને સફળ બનાવવા માટે જહેમતભર્યું યોગદાન અને સુવિધાજનક વ્યવસ્થા માટે ટીમ જી.એસ.એફ.સી.વતી એમડી એ.એમ.તિવારી અને ટીમ વડોદરા વતી જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલને મુખ્યપ્રધાને તેમજ નાયબ મુખ્યપ્રધાનના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.