મુખ્યપ્રધાન રુપાણી આજથી 6 દિવસ ઇઝરાયલ પ્રવાસે

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણી ૨૬ જૂનને મંગળવારથી છ દિવસ માટે ઇઝરાયલના પ્રવાસે જશે. વિજય રુપાણીએ ગુજરાતના મુખ્યપ્રધાનનો પદભાર સંભાળ્યા બાદની તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. સીએમની સાથે કૃષિ રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહજી પરમાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ ઇઝરાયલ જઇ રહ્યું છે.મુખ્યપ્રધાન અને આ પ્રતિનિધિમંડળના સમગ્ર ઇઝરાયલ પ્રવાસ દરમિયાન કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઇઝરાયલની અદ્યતન ટેક્નોલોજી અને અનુભવો વિષયક જ્ઞાન-માહિતીનો વિનિયોગ કેન્દ્રસ્થાને રહેવાનો છે. ભારત અને ઇઝરાયલના રાજદ્વારી સંબંધોના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાનની આ ઇઝરાયલ મુલાકાત સવેળાની અને મહત્વપૂર્ણ બની રહેશે.

રૂપાણીની અધ્યક્ષતામાં ઇઝરાયલ જનારુ આ પ્રતિનિધિમંડળ ઇઝરાયલના કૃષિ પ્રધાન યુરી એરિઅલ, વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન ગીલ હસ્કેલ અને આર્થિક બાબતો તથા ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન ઇલી કોહેન સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે તથા ઇઝરાયલ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા-વિચારણા કરશે.

આ ઉપરાંત મુખ્યપ્રધાન રૂપાણી ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ, એલ્બિટ સિસ્ટમ્સ, મોબિલઆઇ કોર્પોરેશનની મુલાકાત લઇને ‘મેક ઇન ગુજરાત’ના ભાગરૂપે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પારસ્પરિક સહયોગના અવસરોની સંભાવનાઓ ચકાસશે.  

આ યાત્રા દરમિયાન ગુજરાતનું પ્રતિનિધિમંડળ વોટર ટેક્નોલોજિઝ અને ઇનોવેશન્સનો ગહન તાગ મેળવવા ઇઝરાયલમાં ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોરેક ડિસેલિનેશન પ્લાન્ટ, નાનડેન જૈન ઇરિગેશનની મુલાકાત લેવાનું છે. ઇઝરાયલ પણ કૃષિ ટેક્નોલોજી ક્ષેત્રે પોતાના નવિનતમ આવિષ્કારોથી આ પ્રતિનિધિ મંડળને માહિતગાર કરશે.

ઉલ્લેખનીય છે કે કૃષિક્ષેત્ર એ ભારત અને ઇઝરાયલ વચ્ચેની ભાગીદારીનું મહત્વનું ક્ષેત્ર છે. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો  લક્ષ્યાંક રાખ્યો છે તેની પૂર્તતા માટે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા અને નફાકારકતા વધારવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે તેવા સમયે વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં પ્રતિનિધિમંડળની આ મહત્વપૂર્ણ ઇઝરાયલ મુલાકાત યોજાઇ રહી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની તાજેતરની ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી વડાપ્રધાન સંયુક્તપણે કૃષિ અને જળ ક્ષેત્રમાં પાંચ વર્ષ માટે સહયોગ આયોજનની ઘોષણા કરી હતી. તદઅનુસાર ૨૦૧૮થી ૨૦ના ત્રણ વર્ષ માટે આ જોઇન્ટ પ્રોગ્રામ શરૂ પણ થઈ ગયો છે, તે અંતર્ગત ભારતમાં કિસાનો- ધરતીપુત્રોને ઇઝરાયેલી ખેતી અને જળ વ્યવસ્થાપન ટેક્નોલોજી જ્ઞાનથી સજ્જ કરવા દેશવ્યાપી સેન્ટર ઓફ એક્સેલન્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે ગુજરાત એ પીએમ નરેન્દ્રભાઈ મોદીનું માતૃરાજ્ય છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૬માં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ઇઝરાયલ ગયું હતું.

ઇઝરાયલની માઇક્રો-ઇરિગેશન ટેકનિકથી પ્રભાવિત થઈ નરેન્દ્રભાઈએ ગુજરાતમાં તે ટેકનિકનો અમલ કરાવ્યો હતો. પરિણામે રાજ્યના સુકા વિસ્તારોમાં કૃષિના વિકાસ અને ઉપજમાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઈ હતી. ગુજરાતમાં તેમણે ઇઝરાયલ પદ્ધતિએ ટપક સિંચાઇનો મહત્તમ ઉપયોગ કરીને ‘પર ડ્રોપ – મોર ક્રોપ’ના મંત્રથી કૃષિ વિકાસ દર ડબલ ડિજિટે પહોંચાડ્યો છે.

વિજય રૂપાણી અને પ્રતિનિધિમંડળ તેલ અવીવ મ્યુનિસિપાલિટીના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની તેમજ ડાયમંડ બુર્સની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત ઇનોવેશન બ્રિજના ઇઝરાયલી વિજેતાઓ સાથે પણ મુખ્યપ્રધાન બેઠક-મુલાકાત યોજવામાં આવી છે. મુખ્યપ્રધાન અને ગુજરાત પ્રતિનિધિમંડળ આવતીકાલે મંગળવારે બપોર બાદ ઇઝરાયલ જવા રવાના થશે અને આગામી રવિવાર ૧ જુલાઈએ ગુજરાત પરત ફરશે.