ઉમેદવારોએ આ શપથ લેવા ફરજિયાત, નહીં તો ઉમેદવારી રદ થશે

અમદાવાદ- લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૮૪(ક) અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા ઈચ્છતા તમામ ઉમેદવારોનું ભારતના સંવિધાનની કલમ-૧૭૩(ક) પરત્વે ધ્યાન દોરવામાં આવે છે. એમાં દર્શાવ્યું છે તે મુજબ, સંવિધાનની ત્રીજી અનુસૂચિમાં નક્કી થયા મુજબના નમૂનામાં ચૂંટણી આયોગ દ્વારા તે હેતુ માટે અધિકૃત કરાયેલ વ્યકિત સમક્ષ ઉમેદવારે શપથ કે પ્રતિજ્ઞા લઈને, તેમાં સહી કરવાની રહેશે અને તો જ એ ઉમેદવાર વિધાનસભાની કે લોકસભાની બેઠક માટે પસંદ થવા પાત્ર ગણાશે.

ઉમેદવારે ચૂંટણી ઉમેદવારીપત્ર રજૂ કર્યા બાદ જ તે શપથ કે પ્રતિજ્ઞા લઈ અને શપથ કે પ્રતિજ્ઞા પત્રમાં સહી કરી શકશે. તે ઉપરાંત સર્વોચ્ચ અદાલતના નિર્ણય અનુસાર ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ પહેલા એટલે કે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ તથા વિધાનસભાની પેટા ચૂંટણીઓના સંદર્ભમાં તા.૦૫/૦૪/ર૦૧૯ પહેલાં જ શપથ કે પ્રતિજ્ઞા લેવાની રહેશે અને તેમાં સહી કરવાની રહેશે. ઉમેદવારીપત્ર ભર્યા બાદ તરત જ ઉમેદવાર દ્વારા શપથ લેવામાં આવે તે ઈચ્છનીય છે.

ઉમેદવારોની અનુકુળતા ખાતર ચૂંટણી આયોગે, સંબંધીત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારી ઉપરાંત નીચેની વ્યકિતઓને અધિકૃત કરી છે. જેમની સમક્ષ ઉમેદવાર શપથ કે પ્રતિજ્ઞા લઈને તેમાં સહી કરશે.

  • સર્વે સવેતન ઈલાકા મેજીસ્ટ્રેટ અને સર્વે સવેતન પ્રથમ વર્ગના મેજીસ્ટ્રેટ.
  • સર્વે જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ન્યાયાધીશ સિવાયની રાજયના અદાલતી સેવામાંની વ્યકિતઓ.
  • ઉમેદવાર જેલમાં હોય તો જેલના અધિક્ષક.
  • ઉમેદવાર નિવારક અટકાયત હેઠળ હોય તો અટકાયત કેમ્પના કમાન્ડન્ટ.
  • ઉમેદવાર માંદગી અથવા અન્ય કોઈ કારણસર હોસ્પીટલમાં અથવા અન્ય કોઈ સ્થળે પથારીવશ હોય તો હોસ્પીટલનો હવાલો ધરાવતા તબીબી અધિક્ષક અથવા તેની સારવાર કરતાં તબીબ.
  • ઉમેદવાર ભારત બહાર હોય તો ઉમેદવાર જે દેશમાં હોય તે દેશ ખાતેના ભારતના રાજનયિક અથવા કોન્સ્યુલર પ્રતિનિધિ અથવા આવા કોઈ રાજનયિક અથવા કોન્સ્યુલર પ્રતિનિધિએ અધિકૃત કરેલ કોઈ વ્યકિત.