જીત પ્રસ્તાવઃ વિધાનસભામાં પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસને પાંચ શેરી ભરી ભરી…

ગાંધીનગર- લોકસભા ચૂંટણી 2019માં ભાજપને મળેલાં જનાદેશને વધાવતો સરકારી સંકલ્પ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો. ૧૭મી લોકસભાની ચૂંટણીઓના પરિણામો આપણાં સૌ માટે ઐતિહાસિક છે કારણ કે, દેશના રાજકીય ઈતિહાસમાં સૌ પ્રથમ વખત આ કે પેલા પક્ષના વિજયને  બદલે આ ચૂંટણીમાં જનમતનો વિજય થયો છે. આ વિજય નવી સદીમાં ઉભરી રહેલા રાષ્ટ્રવાદનો વિજય હોવાનું ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં સરકારી સંકલ્પ રજૂ કરતાં જણાવ્યું હતું.

વધુમાં કહ્યું કે, દેશની જનતાને લાગ્યું કે ગુજરાતનો જે રીતે વિકાસ થયો છે તેવો વિકાસ સમગ્ર દેશમાં થવો જોઇએ અને તેથી જ સતત બીજીવાર આ વિચાર દેશની પ્રજાએ જનમતમાં પરિવર્તિત કરી નયા ભારતના નિર્માણ માટેનો સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. ૨૦૧૪ની જીત વોટ ઓફ હોપની હતી, જ્યારે ૨૦૧૯ની જીત વોટ ઓફ ટ્રસ્ટની જીત છે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દેશમાં નકારાત્મક રાજનીતિને તીલાંજલિ આપવા દેશની જનતાએ કોંગ્રેસ પક્ષને સબક શિખાવાડ્યો હોવાનું જણાવતા પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે કોંગ્રેસ માત્ર 52 બેઠકોમાં સમાઇ ગઇ. યુ.પી.એ. ફક્ત ૮૬ના આંકડામાં સીમિત થઇ ગઇ. ભારતીય જનતા પાર્ટીને ૨૨૪ જેટલી બેઠકો ઉપર ૫૦% કરતા વધારે મત મળ્યા. ૨૦૧૪માં ભાજપને ૩૧% મત મળ્યા જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં ૩૭.૪% મત મળ્યા એટલે કે મતમાં ૬.૪% નો વધારો થયો. ૧૭ રાજ્યોમાં ૫૦% થી વધુ મતો અને ૯ રાજ્યોમાંથી ૪૫ થી ૫૦% મત મળ્યા. લગભગ ૪ દાયકાના ગાળા પછી દેશને સ્પષ્ટ બહુમતીવાળી સરકાર પ્રાપ્ત થઈ. દેશના ૧૭ રાજ્યોમાં કોંગ્રેસ પોતાનું ખાતુ પણ ન ખોલાવી શકી. કોંગ્રેસના ૯ પૂર્વ મુખ્યપ્રધાનો સહિત તેના અનેક વરિષ્ટ નેતાઓની કારમી હાર થઈ. ૧૩ જેટલા રાજ્યોમાં કોંગ્રેસે માત્ર ને માત્ર એક એક બેઠક મેળવી સંતોષ માનવો પડ્યો.  કોંગ્રેસ લોકસભામાં વિરોધપક્ષ સ્થાપિત કરવા જેટલી બેઠકો પણ ન મેળવી શક્યો.

અગાઉ સત્તામાં રહેલી કે‍ન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતને સતત અન્યાય કર્યો હોવાનો ઉલ્લેખ કરતા જાડેજાએ જણાવ્યું કે કેન્દ્રની કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે ક્રુડ ઓઇલ રોયલ્ટી દર, સરદાર સરોવર યોજના, એઇમ્સ આપવા અંગે, અમદાવાદ – મુંબઇ બુલેટ ટ્રેનને મંજૂરી, કેન્દ્રીય વેચાણ વેરામાં રાજ્યોને મળવાપાત્ર હિસ્સો આપવામાં વિલંબ આ અને આવા અનેક મુદ્દાઓ પર ગુજરાત અને દેશને અન્યાય થતો રહ્યો. ગુજરાત કોંગ્રેસ પણ મૂક પ્રેક્ષક બની રહી. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ધુરા સંભાળતા જ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના વર્ષોથી અટવાતા અનેક પ્રશ્નોનો ઉકેલ આવ્યો.

આ સરકારી સંકલ્પમાં પોતાનો સૂર પુરાવતા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે જંગી બહુમતીથી જીત પ્રજાનો વિજય છે. આ અભિમાનની નહી ગૌરવની વાત છે. તેમણે પ્રદૂપસિંહ જાડેજાને સંકલ્પ લાવવવા બદલ અભિનંદન આપતા કહ્યું કે દેશના સવાસો કરોડ નાગરિકોએ સંપૂર્ણ બહુમતીવાળી સરકાર આપી છે. તે માત્રને માત્ર રાષ્ટ્રવાદ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો વિજય છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ જે રાજ્યમાં જીતી ત્યા ઇ.વી.એમ.માં ખોટ ન દેખાઇ એટલું જ નહીં રાહુલ ગાંધી, સોનીયા ગાંધી જીત્યાં ત્યાં પણ આ જ ઇ.વી.એમ. હતાં. તો શા માટે ઇ.વી.એમ.નો દોષ કાઢો છો. હાર સ્વીકારો એમા જ આપનું ભલું છે. તેમણે ઉમેર્યું કે પાંચ વર્ષના સુશાસનમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મેઈક ઇન ઇન્ડિયા જેવા સ્લોગનોના કારણે ભવ્ય વિજય થયો છે. એ માટે આપણને સૌને ગૌરવ હોવું અનિવાર્ય છે. આ સંકલ્પ વિધાનસભા ગૃહમાં બહુમતીથી ૫સાર કરવામાં આવ્યો હતો.