‘પદ્માવતી’ ફિલ્મની રીલીઝ પર ગુજરાત ભાજપનો વિરોધ

ગાંધીનગરઃ ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને લઈને ગુજરાતમાં વિવાદ શાંત થવાનુ નામ નથી લઈ રહ્યો. શંકરસિંહ વાઘેલા બાદ હવે ભાજપે પણ ફિલ્મને લઈને સવાલો ઉભા કર્યા છે.

ભારતીય ચૂંટણી પંચ અને ગુજરાતના મુખ્ય ચૂંટણી આયોગને પત્ર લખીને ભાજપે ફિલ્મ રિલીઝ પહેલા રાજપૂત સમાજના આગેવાનોને ફિલ્મ બતાવવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તેમેણે જણાવ્યું કે આમ કરવાથી તે લોકોને સંતોષ શાંત થશે અને ચૂંટણી પહેલા કોઈપણ પ્રકારની તણાવગ્રસ્ત પરિસ્થિતીઓથી પણ બચી શકાશે.

ભાજપના પ્રદેશ પ્રવક્તા આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે, પદ્માવતી ફિલ્મમાં ઇતિહાસને તોડી-મરોડીને અલ્લાઉદ્દીન ખીલજી સાથે જોડી રજૂ કરવામાં આવેલી વિગતોને પરિણામે રાજપૂત-ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ રહી છે.

ભાજપ તરફથી પદ્માવતી ફિલ્મના પ્રસારણ અગાઉ ફિલ્મ સેન્સર બોર્ડમાં ઇતિહાસને ખોટી રીતે રજૂ કરાયો હોય તો તેની ચકાસણી કરી પ્રસારણ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવા અને લોકશાહીના પવિત્ર પર્વને શાંતિપૂર્ણ ઉજવાય તેવો માહોલ બનાવવા મદદરૂપ થવા માંગણી કરી છે.