જીતના જશ્નથી ખીલી ઊઠ્યું શ્રી કમલમ, હીરાબા, રુપાણી સહિત સૌએ મોં મીઠાં કર્યાં

અમદાવાદ- આગામી પાંચ વર્ષ માટે ભારત પર શાસન ચલાવવાનો પરવાનો મેળવવાના જનાદેશ તરફ અગ્રેસર ભારતીય જનતા પક્ષના નેતાઓ અને કાર્યકરોની ખુશીનો પાર નથી. આખરી પરિણામ આવે તે પહેલાં પક્ષ કાર્યાલયે જીતનો જશ્ન શરુ થઈ ગયો છે.પક્ષના ચાણક્ય અમિત શાહની રણનીતિ રંગ લાવી અને સ્ટાર પ્રચારકોમાં શિરમોર એવા નરેન્દ્ર મોદીનો જાદૂ વધુ અસરદાર બન્યો હોવાનું સ્થાપિત કરતાં લોકસભા ચૂંટણી પરિણામોમાં જણાઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં ભાજપ કાર્યાલયોમાં જશ્નનો આગવો નજારો જામ્યો છે. સૌ કોઇ ઢોલનગારા વગાડીને, મોં મીઠું કરાવીને અને ફટાકડાં ફોડીને ઉજવણીનો માહોલ બનાવી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્યાલય શ્રી કમલ ખાતે પણ એવો જ આગવો ઉત્સાહ પ્રત્યક્ષ બન્યો છે. જીતના અણસાર પાકાં થતાં જ બપોરના 12 પછી મુખ્યપ્રધાન વિજય રુપાણી કમલમમાં આવી પહોચ્યાં હતાં. તેમણે આ જીતને દેશવાસીઓની જીત ગણાવી હતી અને આગામી વર્ષોમાં પીએમ મોદીની આગેવાનીમાં વિકાસની ગતિ ઓર તેજીલી બનાવવાનો પાકો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ ફરી મોદી સરકાર બનવાના અણસાર સ્પષ્ટ થતાં પોતાના નિવાસસ્થાનની બહાર આવીને ત્યાં ઉપસ્થિત મીડિયાકર્મીઓ સમક્ષ ખુશીની લાગણી પ્રગટ કરી હતી.કમલમ ખાતે ઉત્સાહની બોલતી તસવીર…