નાટ્ય પ્રયોગ ‘ભારત ભાગ્ય વિધાતા’ રાજ્યના દરેક જિલ્લામાં રજૂ કરાશે

ગાંધીનગર- સમગ્ર વિશ્વ જ્યારે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારતમાં પણ રાષ્ટ્રવ્યાપી ઉજવણીઓ અર્થે રાષ્ટ્રીય સ્તરે સમિતિની રચના કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યસ્તરે પણ એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સંત તરીકે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશભાઈને આમંત્રિત કરવામાં આવ્યા છે.

શ્રીમદ્ રામચંદ્ર અને મહાત્મા ગાંધીના ગહન આદ્યાત્મિક સંબંધો પર આધારિત, 7 ભાષાઓમાં એકસાથે 8 ટીમ દ્વારા વિશ્વભરમાં 312 સ્થળોએ 1060થી વધુ નાટ્યપ્રયોગો દ્વારા લાખો પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પ્રેક્ષકોના દિલમાં સદાકાળ અંકિત કરી દેતા નાટક ‘યુગુપુરુષ-મહાત્માના મહાત્મા’ની સફળ પ્રસ્તુતિ કરી ચૂક્યું છે.

મિશનની સર્જાનાત્મકતા અને અનુભવને જોઈને ગુજરાત સરકારે તેમને ગાંધીજીના જીવન પર આધારિત એક વિશ્વકક્ષાની નાટ્યકૃતિનું નિર્માણ કરવાનું આમંત્રણ આપ્યું છે.

જેના પગલે હવે લોકોના દિલ અને દિમાગ પર છવાઈ જતો નાટ્યપ્રયોગ ‘ભારત ભાગ્ય વિધાતા’ ગુજરાત સરકારના સહયોગથી રાજ્યના દરેક જિલ્લામાં આ નાટકના 150 નાટ્યપ્રયોગો રજૂ કરવામાં આવશે. ભારત ભાગ્ય વિધાતા મહાત્મા ગાંધીના જીવન પ્રસંગોને વણી લઈને તેમના અંતરાત્મામાં એક ડોકિયું કરતો નાટ્યપ્રયોગ છે.

રાજચંદ્ર મિશન ધરમપુર શ્રીમદ્જીને સમર્પિત સંસ્થા છે. શ્રીમદ્જી અને મહાત્મા ગાંધીનો અંતરંગ સંબંધ ભારતના સાંસ્કૃતિક, રાજકીય, અને આધ્યાત્મિક ઈતિહાસનું એક ઉજ્જવલ પ્રકરણ છે. આ બંન્ને મહાપુરુષોએ આપેલા મુલ્યો આજે પણ એટલા જ પ્રસ્તુત છે, જેટલા તે સમયે હતાં.