ગુજરાતમાં ચૂંટણી પહેલા 26/11 જેવા હુમલાની આશંકા

નવી દિલ્હી- ગુપ્તચર એજન્સીને આશંકા છે કે ગુજરાતમાં ચૂંટણી રેલીઓ પર પાકિસ્તાન 26/11ના હુમલા જેવો હુમલો કરાવી શકે છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ આ મહિને ગુજરાત સાથે જોડાયેલા મેરીટાઈમ ઈન્ટરનેશનલ બોર્ડર પાસે ચાર ભારતીય માછીમારોની બોટ જપ્ત કરી લીધી હતી. તો આ સાથે જ ભારતીય માછીમારોના ઓળખપત્ર સહિતના દસ્તાવેજો પણ છીનવી લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતને ટાર્ગેટ કરવા માટે પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ દરીયાના માર્ગે આતંકવાદીઓને મોકલી શકે છે. ચાલુ સપ્તાહે પોરબંદરથી માછીમારોની ચાર બોટ પાકિસ્તાની સરહદ પાસે માછીમારી માટે ગઈ હતી. જેને પાકિસ્તાની મેરીટાઈમ સિક્યોરિટી એજન્સીએ પકડી લીધી હતી અને તે લોકોના ઓળખપત્ર પણ છીનવી લીધા હતા. આ તમામ ઘટનાક્રમને જોતા પાકિસ્તાન પોતાના કોઈ નાપાક ઈરાદાઓ સેવી રહ્યું તેવું લાગી રહ્યું છે.

માછીમારો પાસેથી છીનવાયેલા વિશિષ્ટ ઓળખ ઉપકરણને અન્ય કોઈ બોટ પર લગાવી શકે છે, જેનાથી તેમને ભારતીય ઓળખ મળી જાય. અને આ ઓળખની મદદથી તેઓ ભારતીય દરીયાઈ સીમામાં પ્રવેશ કરી શકે છે. પાકિસ્તાન દ્વારા આ પહેલા પણ ઘણીવાર ઈન્ટરનેશનલ બોર્ડર પર માછીમારોની બોટ જપ્ત કરવામાં આવી છે. પરંતુ ક્યારેક જ એવું બન્યું છે માછીમારોના વિશિષ્ટ ઓળખપત્રો એટલે કે તેમને આપવામાં યુઆઈડી અને તેમના ઓળખપત્રો છીનવી લેવાયા હોય.