અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં સામેલ થયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાજકોટ – ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ધામગમન બાદ તેઓશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર જે સ્થાન પર કરવામાં આવ્યો હતો એ સ્થાન અક્ષરદેરીના નામે વિશ્વપ્રસિદ્ધ છે. ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી ૩૫ કી.મી.ના અંતરે આવેલ અક્ષરદેરીની સ્થાપનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં ઉજવાઇ રહેલા શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પ્રેરક ઉપસ્થિતિમાં તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય નિશ્રામાં સંપન્ન થઈ.

૧૧ દિવસના ઉત્સવની મુખ્ય સભા વસંતપંચમીના પવિત્ર દિવસે રાખવામાં આવી કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વસંતપંચમીનો વિશેષ મહિમા છે. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી આજના દિવસે જ લોકાર્પિત થઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતકવિ બ્રહ્માનંદ સ્વામી તથા નિષ્કુળાનંદ સ્વામીનો જન્મદિવસ પણ વસંતપંચમીએ હતો. બી.એ.પી.એસ. સંસ્થાના સ્થાપક અને ભગવાન સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું પ્રાગટ્ય પણ વસંતપંચમીના દિવસે થયું હતું.

અક્ષરદેરી અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જ નહીં પણ અન્ય ધર્મોના લોકોને પણ અક્ષરદેરીની દિવ્યતા અને પવિત્રતા અહીં ખેંચી લાવે છે. અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભાનો લાભ લેવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો-ભાવિકો સવારથી જ પહોંચી ગયા હતા. અક્ષરદેરીએ અનેક લોકોનો અશાંતિનો રોગ ટાળીને શાંતિ પ્રદાન કરી છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે ૪૦ વર્ષ સુધી અક્ષરદેરીની સેવા કરી હતી. અક્ષરદેરીના દર્શન માટે આવતા ભાવિકોની સંખ્યામાં સતત વધારો થતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અક્ષરદેરીના નવિનીકરણનો શુભ સંકલ્પ કર્યો હતો. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી મૂળ દેરીને યથાવત રાખીને પ્રમુખસ્વામી મહારાજની ઈચ્છા મુજબ અક્ષરદેરીના નવિનીકરણનું કાર્ય પૂર્ણ થતાં આજે સવારે અતિભવ્યતાથી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ નિમિત્તે આયોજિત મહાપૂજામાં આશીર્વાદ આપતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે : ‘આ અક્ષરદેરી સૌના મનોરથ પૂર્ણ કરનારુ મહાપ્રતાપી સ્થાન છે. અહીંયા મહાપૂજા, પ્રદક્ષિણા અને ધૂન કરીને ભક્તો જે કંઈ પ્રાર્થના કરશે તે સર્વે સંકલ્પો અક્ષરદેરી સિદ્ધ કરશે. અહીંયા આવનાર તમામને સુખ અને પરમ શાંતિ પ્રાપ્ત થશે.’

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહોત્સવની મુખ્યસભાનો લાભ લેવા માટે પધારતાં સૌરાષ્ટ્રની ધરતીને છાજે એવું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી અક્ષર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર બી.એ.પી.એસ. સંસ્થાના આંતરાષ્ટ્રીય કન્વીનર તથા વરિષ્ઠ સંત પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ સંતો તથા મહાનુભાવો સાથે રાષ્ટ્રપતિનું ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ પણ પ્રોટોકોલને એક બાજુ રાખી મુખ્ય પ્રવેશદ્વારથી અક્ષરદેરી સુધી ચાલતાં ચાલતાં જવાનું પસંદ કર્યું. મુખ્ય પ્રવેશદ્વારથી અક્ષરદેરી સુધીના પથ પર નાના નાના બાળકોએ દેવદૂતોના પરિવેશમાં નૃત્યના માધ્યમથી રાષ્ટ્રપતિને વધાવ્યા. રાષ્ટ્રપતિની સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. બી.એ.પી.એસ. સંસ્થાના વર્તમાન અધ્યક્ષ અને ગુરુપદે બિરાજતાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રપતિને ભગવાનનો પ્રસાદીભૂત હાર પહેરાવીને અક્ષરદેરીમાં આવકાર્યા હતા. મહાનુભાવોએ અક્ષરદેરીમાં પધારી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિનો લાભ લીધો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા એ પૂર્વે પણ અક્ષરદેરીનાં દર્શન માટે પધારી ચૂક્યા હતા. અક્ષરદેરીની પવિત્રતાથી રાષ્ટ્રપતિ પણ પ્રભાવિત થયા હતા.

દર્શન-પૂજનનો લાભ લીધા બાદ સૌ મહાનુભાવો અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભામાં પધાર્યા. સ્વામિનારાયણ નગરમાં આજે માનવ મહેરામણ હિલોળા લઇ રહ્યો હતો. જ્યાં નજર પડે ત્યાં માણસો જ માણસો દેખાતા હતા. બી.એ.પી.એસ. સંસ્થાના અનુયાયીઓ વિશ્વના પાંચેય ખંડોમાં ફેલાયેલા છે. દરિયાપાર રહેતા આ હજારો હરિભક્તો બધા કામોને ગૌણ કરીને ઉત્સવનો લાભ લેવા ગોંડલ ખાતે આવી પહોંચ્યા હતા. ૧ લાખ લોકોની ક્ષમતાવાળું મેદાન પણ આજે નાનું પડી રહ્યું હતું. સંસ્થાની વેબસાઈટ અને આસ્થા સહિતની વિવિધ ટીવી ચેનલો પરથી ૧૫૫ કરતાં વધુ દેશોના અનેક લોકોએ આ કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ ઘરે બેઠા લીધો હતો. બી.એ.પી.એસ. સંસ્થાનું માઈક્રો લેવલનું મેનેજમેન્ટ ઉડીને આંખે વળગતું હતું. મહોત્સવની આ મુખ્ય સભામાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા અક્ષરદેરીના મહિમાની વાતો રજૂ કરવામાં આવી. વિવિધ સંવાદોની રજૂઆત દ્વારા વર્ષો પહેલાના ઇતિહાસને બાળકો અને યુવાનોએ મંચ પર જીવંત કર્યો. નૃત્ય, સંવાદ અને પ્રવચનોની ગૂંથાયેલી શૃંખલાની રજૂઆત એવી અદ્ભુત હતી કે લોકોએ કાર્યક્રમને મન ભરીને માણ્યો. લગભગ ૫૦૦ કરતાં પણ વધુ બાળકો અને યુવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ નિહાળ્યા બાદ દરેકને પ્રતીતિ થઈ કે અક્ષરદેરી એ માત્ર વિમાન આકારની છત્રી જેવું સામાન્ય સ્મારક નથી પરંતુ આધ્યાત્મિક ચેતનાનું ઉદ્ગમસ્થાન છે.

અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની મુખ્ય સભામાં બી.એ.પી.એસ. સંસ્થાના સદગુરુ સંતોએ અક્ષરદેરીના મહિમાની વાતો કરી હતી. આ પ્રસંગે ભારત સરકારના પોસ્ટલ વિભાગ દ્વારા અક્ષરદેરીની પોસ્ટલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો લાભ સૌ લઇ શકે તે માટે ‘સ્વામીની વાતો’ની મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. શ્રી કાશી વિદ્વત પરિષદ દ્વારા બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંત પૂ. ભદ્રેશદાસ સ્વામીનું ‘ વિદ્વત ગૌરવ’ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. સામાન્ય માણસ પણ સમજી શકે એવી સરળ ગુજરાતી ભાષામાં અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મના તત્વજ્ઞાનને સમજાવતા પૂ. ભદ્રેશદાસ સ્વામી લિખિત ‘શ્રી અક્ષરપુરુષોત્તમ દર્શન પરિચય’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

વકતવ્યના પ્રારંભે રાષ્ટ્રપતિ કોવિંદે અક્ષરદેરીની આ પૂર્વે બિહારના રાજ્યપાલ તરીકે કરેલી યાત્રાની સ્મૃતિ કરતા જણાવ્યું હતું કે : ‘કદાચ અક્ષરદેરીની આ પવિત્ર ધરતીનું પણ મારા રાષ્ટ્રપતિ બનવામાં યોગદાન જરૂર રહ્યું હશે.’ બી.એ.પી.એસ. સંસ્થાને નિરંતર લોકકલ્યાણ માટે અનેક ક્ષેત્રોમાં કાર્યરત સંસ્થા ગણાવીને તેની માનવજાતની નિશ્વાર્થ સેવા બદલ પ્રશંસા કરી હતી. તેઓએ પોતાને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રગતિશીલ કાર્યો અને વિચારોના પ્રશંસક ગણાવ્યા હતા. વળી અંધશ્રદ્ધા, જાતિ-વર્ગ અને ઊંચનીચના ભેદ મિટાવી, સમગ્ર માનવજાતના કલ્યાણ માટે સદૈવ કાર્યરત ભગવાન સ્વામિનારાયણને અંજલિ આપી હતી. આ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને યાદ કરી તેઓએ જણાવ્યું હતું કે કલામ સાહેબ બી.એ.પી.એસ. સંસ્થાની આધ્યાત્મિકતા તેમજ માનવ કલ્યાણના કાર્યો થી ઘણા પ્રભાવિત હતા અને પ્રમુખસ્વામી મહારાજના સાનિધ્યમાં બિરાજીને તેઓ ઘણું શીખ્યા હતા.

વિશ્વભરમાં ફેલાયેલા બી.એ.પી.એસ. સંસ્થાના સેંકડો મંદિરો અને કેન્દ્રો વ્યક્તિ અને સમાજના બહુ આયામી વિકાસ માટે કાર્યરત હોવાનો ઉલ્લેખ કરીને તેઓએ ત્યાંની સ્વચ્છતાની ખૂબ પ્રશંસા કરતાં કહ્યું હતું કે : ‘બી.એ.પી.એસ.ના મંદિરોમાં સ્વચ્છતા હોય છે અને સ્વચ્છતા દ્વારા મનુષ્યમાં પવિત્રતા, નૈતિકતા અને દિવ્યતાનો પ્રવેશ થાય છે.’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે : ‘બી.એ.પી.એસ. સંસ્થાના વિશ્વભરમાં કાર્યરત ૧૦ લાખ ભક્તો અને ૫૫ હજારથી વધુ સ્વયંસેવકો નિયમિતરૂપે માનવસેવામાં સમયનું દાન કરી લાખો લોકોને આપણી સંસ્કૃતિના આદર્શો સાથે જોડી રહ્યાં છે. બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પવિત્રતા, નૈતિકતા અને સેવાભાવના પર આધારિત જ્ઞાન આપી લોકોનું ચારિત્ર્ય ઘડતર કરવામાં આવે છે. તેઓને પાયાના ક્ષેત્રોમાં સેવા કરવાનો અવસર આપી માનવ કલ્યાણના કાર્યોમાં પ્રેરિત કરવામાં આવે છે.’ અસ્થિરતા અને તણાવના વર્તમાન યુગમાં આવા મહોત્સવમાં વિશ્વશાંતિની પ્રાર્થના સાથે યોજાતા યજ્ઞોની તેમણે પ્રશંસા કરી હતી. એટલું જ નહીં નબળા વર્ગોને સહાય, આરોગ્ય સેવાઓ, પર્યાવરણ સુરક્ષા, આફત રાહત તથા સામુદાયિક વિકાસના કાર્યો દ્વારા લોકોના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન માટે રાષ્ટ્રપતિએ બી.એ.પી.એસ. સંસ્થાને ખુબ બિરદાવી હતી. ગુજરાતની ધરતી પર જન્મેલા મહાપુરુષો મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ તેમજ મોરારજી દેસાઇ વગેરે ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયનો ઘણો પ્રભાવ રહ્યો હતો તેનો પણ રાષ્ટ્રપતિશ્રીએ પોતાના વક્તવ્ય દરમિયાન ઉલ્લેખ કર્યો હતો.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ઉપસ્થિત ૧ લાખથી વધારે ભક્તોને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે : ‘અક્ષરદેરીનો પ્રેમ અને પ્રતાપ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને ગોંડલ સુધી ખેંચી લાવ્યો છે. રાજ્યપાલ કોહલી સાહેબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ આ સંસ્થા સાથે પારિવારિક ભાવથી જોડાયેલા છે. અક્ષરદેરી સમગ્ર વિશ્વને શાંતિ આપનારું અતિ પવિત્ર સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા અને લોકકલ્યાણ માટે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પણ સાથે લાવ્યા. મહારાજ-સ્વામી પ્રગટ્યા તે વખતે સમાજમાં નાત-જાત અને ઊંચનીચના ભેદ પ્રવર્તતા હતા પરંતુ સ્વામિનારાયણ ભગવાને નાત-જાત કે ઊંચનીચના ભેદભાવ વગર સૌને અપનાવ્યાં અને સામાજિક સમરસતાનું કાર્ય કર્યું સમાજના કચડાયેલા વર્ગને સામાજિક અને આધ્યાત્મિક ઊંચાઈ આપવાનું કાર્ય કર્યું.’

અંતમાં સૌએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. સમૂહ આરતી વખતે એક સાથે લાખ-લાખ દીવડાઓના ઝગમગાટથી એક અનોખો આધ્યાત્મિક માહોલ રચાયો હતો. વસંત ઋતુની મોસમનું વાતાવરણ સૌને ઠંડકની અનુભૂતિ કરાવતું હતું તો બીજી બાજુ મહોત્સવનું વાતાવરણ ઉપસ્થિત સૌના મનને શીતળતાનો અનુભવ કરાવી રહ્યું હતું.

તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૧૮ સુધી એટલે કે આગામી આઠ દિવસ સુધી આ મહોત્સવ ચાલુ રહેશે. દરરોજ બપોરના ૨:૦૦ થી રાતના ૧૦:૦૦ વાગ્યા સુધી સ્વામિનારાયણ નગરમાં આવેલ પ્રદર્શન ખંડોની મુલાકાત લઈ લાખો લોકો જીવન ઉત્કર્ષની પ્રેરણા પ્રાપ્ત કરશે તેમજ ૭૦ ફૂટ ઉંચી અને ૫૦ ફૂટ પહોળી વિરાટ અક્ષરદેરી પરના રોમાંચક લાઈટ એન્ડ સાઉન્ડ શો દ્વારા અક્ષરદેરીના મહિમા અને ઈતિહાસને માણશે. રોજ સવારના ભાગે જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ સ્વામિનારાયણ નગરની મુલાકાત લઈને માનવતાના પાઠ ભણશે.