રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાનમસાલા વેચાણ પર પ્રતિબંધ

ગાંધીનગરઃ રાજ્યમાં વેચાતા ગુટકા તેમ જ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, આ મામલે ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયા દ્વારા માહિતી આપવામાં આવી છે.

કોશિયાએ ઉમેર્યું કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. ગુટકામાં તમાકું કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરાશે.