બહુચરાજીઃ માતાજીને અર્પિત ફૂલોનો થશે સદઉપયોગ, બનાવાશે ખાતર

બહુચરાજીઃ બહુચરાજી ધામમાં આદ્યશક્તિ માં બહુચરાજી સાક્ષાત બિરાજમાન છે. કોઈપણ શ્રદ્ધાળુ ભક્ત માતાજીના પાળે જે માનતા માને છે તેને માં બહુચરા અચૂક પૂરી કરે છે. લાખો શ્રદ્ધાળુઓના કામ અને તેમની મનોકામના માતાજી પૂરી કરે છે. અને એટલે જ બહુચરાજીના બહુચરમાંના આંગણે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. અને માતાજીને પુષ્પના હાર સહિત પ્રસાદી અર્પણ કરે છે.

ત્યારે રોજ મોટી સંખ્યામાં મંદિરમાં આવતા ફૂલોના હારને લઈને મંદિર પ્રશાસન દ્વારા એક નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે જેમાં મંદિરમાં આવતા ફૂલોને 10 દિવસની પ્રોસેસ કર્યા બાદ તેનું ખાતર બનાવવામાં આવશે. આ ખાતર જૈવિક તો હશે જ પરંતુ સાથે ખાતર જે ફૂલમાંથી બન્યા છે તેમાં માતાજીની શક્તિ જોડાયેલી હોવાથી ખેતરમાં સોનેરી પાક ઉગશે તેવું મંદિરના વહીવટદારે જણાવ્યું હતું.

આજે 21મી સદીમાં અનેક ખાતર જમીનમાં ભળી રહ્યા છે. પાકને જીવંત દાન મળે છે પરંતુ પોષણ મળતું નથી અને આજે ખાતરના કારણે જમીન ખેડૂતોની નષ્ટ થઈ રહી છે, તેવામાં માં બહુચરાજી મંદિર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવા માં આવ્યો છે જેમાં આસ્થાના પ્રતીકસમા મંદિમાં બહુચરાજીને ભક્તો દ્વારા શ્રદ્ધાથી ચઢાવવામાં આવતા ફૂલોનો સદઉપયોગ કરવામાં આવશે.

મંદિરમાં આવતા ફૂલોને મશીનમાં નાખ્યા બાદ જૈવિક ખાતરમાં નાખવામાં આવતા મિનરલ્સ અને વિટામિન સહીત સુગંધનો ઉમેરો કરીને તે ફૂલોનું ખાતર બનાવવામાં આવશે. આ ખાતર મંદિર પરિસરના ભેટ કેન્દ્ર પર નજીવી કિંમતે વહેંચાણ કરવામાં આવશે.

એક તરફ આજે જમીન નષ્ટ થવાના આરે ન જાય તે માટે સરકાર દ્વારા હવે જૈવિક ખાતર જમીનમાં નાખવાની સલાહ આપવામાં આવે છે અને ખેડૂતો હવે જૈવિક ખાતરના વપરાશ પર ભાર પણ મૂકી રહ્યા છે. જેના થકી હવે આ ફૂલોમાંથી બનાવેલા અને 10 દિવસ તેને સંગ્રિહત કર્યા બાદ પોષણ આપીને ફૂલોમાંથી ખાતર હવે ખેડૂતના ખેતર સુધી પોંહચશે.

હજારો કિલો ફૂલો માં બહુચરાજીના ચરણોમાં અર્પણ થાય છે. તે ફૂલનો હવે સદઉપયોગ કરીને ખાતર બનાવીને હવે મંદિર ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી ખાતર રૂપી સોનાને ખેડૂતના ખેતર સુધી પોંહચાડશે જે થકી હવે સોના જેવો પાક ખેતરમાં લહેરાશે.