લીખાળા સિંહ-નીલગાય મોત મામલે ખેડૂત પિતાપુત્રની ધરપકડ

અમરેલી- 50 ફૂટ ઊંડા કૂવામાં મારીને નાંખી દેવાયેલાં એક સિંહ અને 10 નીલગાયોના મામલે વનવિભાગે પગલાં લીધાં છે. આ મામલે વનવિભાગે ખેડૂત પિતાપુત્રની ધરપકડ કરી છે.અમરેલીમાં ત્રણ દિવસ પહેલા લીખાળા ગામે એક કૂવામાંથી 1 સિંહ અને 10 નીલગાયના મૃતદેહ મળી આવવાના મામલે વનવિભાગે જે બે આરોપીની ધરપકડ કરી છે તે બંને ખેડૂતોના નામ નનુ સુહાગીયા અને અરવિંદ સુહાગીયા છે.

આ હતી ઘટનાઅમરેલી જિલ્લાનાં સાવરકુંડલાના લીખાળા ગામે એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. એક સાથે નીલગાય અને સિંહના મૃતદેહ કૂવામાંથી મળી આવતા, વન વિભાગે આશંકા વ્યક્ત કરી હતી કે વન્ય પ્રાણીઓને મારીને ગુનો છૂપાવવા માટે કૂવામાં નાંખી દેવામાં આવ્યા હશે. જે કૂવામાંથી નીલગાય અને સિંહનાં મૃતદેહો મળ્યાં છે તે અંદાજે 50 ફૂટ ઉંડો કૂવો છે. વન્ય પ્રાણીઓના મૃતદેહોને જોતા એમ લાગતું હતું કે આ ઘટના અંદાજે ત્રણેક દિવસ પહેલાં બની હશે.