અમદાવાદમાં અમિત શાહનો પ્રચાર, સાબરમતી-સરખેજ વિધાનસભા વિસ્તારમાં રોડ શો…

અમદાવાદઃ આજે ભાજપનો સ્થાપના દિવસ છે. ત્યારે આજથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર અમિત શાહે પોતાના પ્રચારની શરુઆત કરી દીધી છે. આજે અમદાવાદમાં અમિત શાહનો રોજ શો યોજાયો. અમદાવાદના વેજલપુર વિધાન સભા વિસ્તારમાં રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહ દ્વારા વણઝરથી શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પિત કરીને રોડ શો ની શરુઆત કરવામાં આવી હતી. આ રોડ શો વણઝરથી વસ્ત્રાપુર સુધી યોજાયો હતો. ત્યારબાદ સાંજે 5:30 વાગ્યે સાબરમતી વિધાનસભા વિસ્તારમાં બીજો રોડ શો યોજાશે.

અમિત શાહે સવારે 9:30 વાગે પહેરા રોડ શોની શરૂઆત કરી હતી. વેજલપુરથી વસ્ત્રાપુર અલગ અલગ સ્થાન પર સ્વાગત કરવામાં આવ્યું. જેમાં વણઝર, સરખેજ ગામ, જીવરાજ પાર્ક, સ્વામિનારાયણ મંદિર, શ્યામલ બ્રિજ, જોધપુર ચાર રસ્તા, માનસી સર્કલ થઇને વસ્ત્રાપુર હવેલી મંદિર પાસે બપોરે 12:30 વાગે રોડ શો પૂર્ણ થયો. આ રોડ શોમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.

આજે રાત્રે ઘાટલોડિયા વિધાનસભાના બોપલ વોર્ડમાં સ્થાનિક સોસાયટીઓના ચેરમને અને સેક્રેટરીઓ સાથે અમિત શાહની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી માટે ભાજપનો પ્રચાર કરવા અનેક નેતાઓ પ્રચારના મેદાનમાં ઉતર્યા છે. આ માટે ભાજપ દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ પૈકી રક્ષા પ્રધાન નિર્મલા સીતારમનના એક કાર્યક્રમનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ બપોરે આણંદ અને સાંજે અમદાવાદમાં યોજાનારા કાર્યક્રમોમાં ભાગ લેશે.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)