સુવર્ણશિખર કાર્ય માટે અંબાજી મંદિરને મળ્યું વધુ 450 ગ્રામ સોનાનું દાન

અંબાજી– યાત્રાધામ અંબાજીમાં અંબાજી શક્તિપીઠના મંદિરને સોને મઢવાની કામગીરી વર્ષોથી થઈ રહી છે. ભાવિકભક્તો સ્વયંભાવથી મા અંબાને સુવર્ણદાન કરે છે તે સોનામાંથી ભક્તોની સોનાથી અદકેરી શ્રદ્ધાના ભાવ સાથે મા અંબાજી મંદિરનું સોનેમઢ્યું શિખર ઝગારા મારી રહ્યું છે.મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્ય શિખરને સોનાથી મઢવાની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે મંદિરના અન્ય શિખર પણ સોનેથી મઢવાની જાહેરાત આવી છે. આ પ્રક્રિયા માટે અંબાજી મંદિર ટ્રસ્ટમાં આજે એક શ્રદ્ધાળુ દ્વારા 450 ગ્રામ સોનું દાનભેટ આપવામાં આવ્યું છે.જાણવા મળ્યાં પ્રમાણે વડોદરાના એક શ્રદ્ધાળુએ પોતાનું નામ ગુપ્ત રાખી આ સુવર્ણદાન કર્યું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને અંદાજિત કિંમત રૂપિયા ૧૫ લાખની કિંમતનું સોનું મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે અર્પણ કરવામાં આવ્યું હતું.

પરખ અગ્રવાલ-અંબાજી