ગબ્બર મંદિર અને રોપ વે બેય બે દિવસ બંધ

અમદાવાદ- ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આવેલ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં બે દિવસ ગબ્બર મંદિર અને રોપ વેના દર્શન બંધ રહેશે.અંબાજીમાં દર્શનાર્થે બારેમાસ મોટી ભીડ દર્શનાર્થે ઉમટતી હોય છે જેમાં ગબ્બરગઢ પરના જ્યોતમંદિરના દર્શન પણ સૌભક્તો કરતાં હોય છે. ત્યારે દર્શનાર્થીઓએ નોંધ લેવી રહી કે 11 અને 12 એપ્રિલ એમ બે દિવસ ગબ્બર મંદિરના દર્શન બંધ રહેશે.

ગબ્બર મંદિર બે દિવસ બંધ રહેશે તેમ જ બે દિવસ રોપ વે સુવિધા પણ બંધ રાખવાની જાહેરાત મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે. ગબ્બરગઢ પર મોટા પ્રમાણમાં મધપૂડાઓ જામ્યાં છે જેને લઇને યાત્રાળુઓને મધમાખીઓના ઝેરી ડંખનો ભોગ ઘણીવાર બનવું પડેછે. ત્યારે યાત્રાળુઓની સલામતીના હેતુથી નુકસાનકારક મધપૂડાઓને હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જેને લઇને બે દિવસ ગબ્બરગઢ મંદિર અને રોપ વે સુવિધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે