ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ જનારાઓ માટે બુલેટ પ્રૂફ જેકેટ પહેરવાનું ફરજિયાત

અમદાવાદ – ગુજરાત સરકારે નવો નિયમ જાહેર કર્યો છે. આ વર્ષથી અમરનાથની યાત્રાએ જનાર દરેક યાત્રાળુએ બુલેટ પ્રૂફ જેકેટ્સ પહેરવાનું ફરજિયાત રહેશે.

આનો અર્થ એ કે ટૂર ઓપરેટરો અને યાત્રાળુઓએ અમરનાથની યાત્રા માટે વધારે ખર્ચ કરવો પડશે.

જો આ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો ગુજરાત સરકાર પરવાનગી નહીં આપે.

હાલ ટૂર ઓપરેટરો પ્રત્યેક યાત્રી દીઠ આશરે રૂ. 10 હજાર ચાર્જ કરે છે. દરેક બુલેટ પ્રૂફ જેકેટનો ખર્ચ આશરે રૂ. 12 હજાર થાય. દર વર્ષે ગુજરાતમાંથી સરેરાશ 7 હજાર યાત્રીઓ અમરનાથ યાત્રા માટે રજિસ્ટર થતા હોય છે. અનરજિસ્ટર્ડ યાત્રીઓનો આંકડો આશરે 30 હજાર હોય છે.

ટૂર ઓપરેટરોને બુલેટ પ્રૂફ જેકેટની ખરીદી સંબંધિત બીજી સમસ્યા એ નડશે કે આ જેક્ટ્સ નાગરિકો માટે ખુલ્લા બજારમાં ઉપલબ્ધ નહીં હોય.

ગયા વર્ષે ગુજરાતમાંથી અમરનાથની યાત્રા પર ગયેલાઓ પર કરાયેલા ત્રાસવાદી હુમલાને પગલે ગુજરાત સરકારે બુલેટ પ્રૂફ જેકેટ્સનો નિયમ ઘડ્યો છે. ગુજરાતના યાત્રાળુઓની એક બસ પર લશ્કર-એ-તૈબાના ત્રાસવાદીઓ ત્રાટક્યા હતા.