હું ભાજપમાં નથી જોડાવાનોઃ અલ્પેશ ઠાકોરે કરી સ્પષ્ટતા…

અમદાવાદઃ 2019 ની લોકસભા ચૂંટણીને અત્યારે રાજકારણ તેજ છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે કેમ ? તે પ્રકારની જે અટકળો ચાલી રહી હતી, તેનો આખરે અંત આવ્યો છે.

અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાં જોડાવાની વાતને લઈને ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે, સત્તા બધાને સારી લાગે છે. જેથી હું મારા સમાજના લોકો માટે બધુ કરી શકીશ, જ્યાં સુધી મારી ભાજપમાં જોડાવવાની વાત છે, તો હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે, હું કોંગ્રેસ નહીં છોડું. હું પાર્ટીમાં જ રહીને મારા સમાજના લોકો માટે સર્વાંગી વિકાસ કરીશ.

અલ્પેશે આજે લોકસભાની ચૂંટણી પણ નહીં લડવાનો નિર્ણય લોકો સામે રજૂ કર્યો હતો, તેમણે જણાવ્યું કે, હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી, સાથે મારી પત્ની પણ રાજકારણમાં નહીં આવે. મારી પત્ની મારા પરિવારની સેવા કરશે. તેનાથી વિશેષ કંઇ જ નથી.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, હું લોકોનાં જનાદેશથી કોંગ્રેસ પાર્ટીમાં ગયો હતો. કોંગ્રેસથી મારી કોઇ નારાજગી નથી. તેમને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મંત્રીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. મારી સાથે લાખો યુવાનો જોડાઇને કામ કરશે, પરંતુ હું દબાણમાં કામ કરવા માંગતો નથી.