ચોમાસું ગયું પણ અનેક વિસ્તારોમાં ભૂવા ખાડાનું સામ્રાજ્ય

અમદાવાદ:  શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણાં વિસ્તારોમાં દબાણો હટાવી માર્ગો પર મોકળાશ કરાઇ. માર્ગો નવા બનાવ્યાં, પહોળા કરી બ્યુટિફિકેશન કરવા પ્રયાસ કરાયો. પરંતુ વિકસેલા અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ નવા બનાવ્યાં પછી પણ નબળી ગુણવત્તા, આયોજન- જાળવણીના અભાવે ખાડા ભૂવા અને ઉબડખાબડ થઇ જાય છે.આ ચોમાસાની ઋતુમાં વરસાદ ઓછો ખાબક્યો હોવા છતાં માર્ગો પર ખાડા પડી ગયાં છે, કેટલાક મુખ્ય કે અંતરિયાળ માર્ગો પર નાનામોટા વાહનો અચાનક જ તૂટી પડેલા માર્ગના ભૂવામાં ફસાઇ જાય છે. 14મી નવેમ્બર, બુધવારની વહેલી સવારે વંદેમાતરમ રોડ પર આવેલા મહાદેવની સામે આવેલા માર્ગ પર અચાનક જ ગાબડું પડ્યું. તૂટેલા માર્ગ પરથી પસાર થતી એએમટીએસ બસ ફસાઇ ગઇ હતી. કોર્પોરેશનના કર્મચારીઓએ બસને બહાર કાઢ્યા બાદ માર્ગને સમારકામ માટે પટ્ટીઓ મરાઇ હતી. બીજી તરફ આંબાવાડી સર્કલ પાસે જ દિવાળીના તહેવારો પહેલાં ભૂવો પડ્યો છે. જે કોર્ડન કરાયા બાદ સમારકામની રાહ જોઇ રહ્યો છે. નિષ્ણાતોના મતે રેતાળ જમીન પર વસેલા અમદાવાદ શહેરમાં ગમે ત્યારે જમીન ધસી પડે છે. તો માર્ગો નું કામ કરતાં લોકોની પણ બેદરકારી દેખાય છે. આંબાવાડી અને વંદેમાતરમ રોડ સિવાય અમદાવાદ શહેરના અનેક માર્ગો પરના ભૂવા-ખાડા સમારકામ ઝંખી રહ્યા છે.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ