સુરતથી શારજાહ વચ્ચે 30 જાન્યુઆરીથી સીધી ફ્લાઈટ શરૂ; પીએમ મોદી બતાવશે લીલી ઝંડી

સુરત – સુરત શહેરને અનેક નામની ઓળખ મળી છે – ડાયમંડ સિટી, સિલ્ક સિટી, ટેક્ષટાઇલ સિટી, સિટી ઓફ ફ્લાયઓવર્સ… પણ સુરતને રેલવે અને વિમાની સેવા મેળવવા માટે સતત સંઘર્ષ કરતા રહેવું પડ્યું છે. પરંતુ હવે બધું એક સાથે વળી જાય એમ છે. સારા સમાચાર મકરસંક્રાંતિના દિવસે આવ્યા છે. સુરતથી સંયુક્ત આરબ અમીરાત (યૂએઈ)ના શહેર શારજાહની સીધી ફલાઇટને આગામી 30મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે અને એ સાથે જ સુરતને આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનો દરજ્જો મળી જશે.

 30 જાન્યુઆરીએ  વડાપ્રધાન મોદી સુરત આવશે અને પ્રથમ સુરત-શારજાહ ઈન્ટરનેશનલ ફલાઇટને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ આ ફ્લાઈટ શરૂ કરશે.

સુરતીઓ જેની વર્ષોથી રાહ જોતા હતા એ સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું સપનું 30મીએ સાકાર થશે. પીએમ મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાપર્ણ કરશે અને સુરત શારજાહની પહેલી ફલાઇટને લીલી ઝંડી બતાવશે. સુરતને ઇન્ટરનેશલ  એરપોર્ટ, ઇન્ટરનેશનલ ફલાઇટ મળે અને પ્રાદેશિક ફલાઇટમાં વધારો થાય એ માટે નવસારીના સંસદસભ્ય સીઆર. પાટીલ સતત પ્રયત્નશીલ રહ્યા છે.

ગઈ કાલે એમણે એક ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે 30મી જાન્યુઆરીએ સુરતથી શારજાહની સીધી ફલાઇટ શરૂ થઇ રહી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ અને ઈન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરવા માટેની મંજૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધી છે. સુરતના લાખો લોકોને ઇન્ટરનેશલ એરપોર્ટનો ફાયદો થશે. સુરત-શારજાહ બાદ તબક્કાવાર સુરત-બેંગકોક અને સુરત-દુબઇની ફ્લાઇટ્સ પણ શરૂ થશે.

ભાજપના સંસદસભ્ય સી.આર. પાટીલ

આગામી થોડા જ દિવસોમાં સુરત એરપોર્ટ ખાતે કસ્ટમ્સ ક્લિયરન્સ માટેની સુવિધા શરૂ કરવા માટેનું નોટિફિકેશન બહાર પડી જશે.  સુરત એરપોર્ટનો રનવે 2905 મીટરનો થઈ ગયો હોવાથી ઇન્ટરનેશનલ એરપોર્ટના સ્ટાન્ડર્ડ પણ જળવાતા હોવાથી એર ઇન્ડિયા ઉપરાંત સ્પાઇસ જેટ અને એર એશિયા તરફથી પણ સુરતથી વિમાનસેવા શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગો ઍર કંપનીએ પણ સુરતથી પોતાની ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી આરંભી દીધી છે.

સુરતને ઍરપોર્ટ મળે એ માટે સતત પ્રયત્નશીલ અને સ્થાનિક ઍરપોર્ટ ઍડ્વાઇઝરી કમિટીના ચેરમેન એવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સી.આર. પાટીલે વિગત આપતા કહ્યું હતું કે, આગામી એકાદ સપ્તાહમાં સુરત ઍરપોર્ટ ઉપર કસ્ટમ્સ ક્લિયરન્સ માટેની સુવિધા શરૂ કરવાનું નોટિફિકેશન બહાર પડી જશે. એ માટે કસ્ટમ્સ અધિકારીઓ તથા અન્ય સ્ટાફ માટે જરૂરી તમામ સુવિધા ઉભી કરી દેવામાં આવી છે. ઉપરાંત તમામ પ્રકારના સ્કેનર્સથી માંડીને, ઓફિસર્સને માટેની ચેમ્બર્સ, સ્ટ્રોંગરૂમ, ઇન્ટ્રોગેશન રૂમ જેવી તમામ જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ થઇ ગઈ છે.

સુરત ઍરપોર્ટ ખાતેના કામકાજોની યાદી:

– ઍરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગને લિમિટેડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ફેસિલિટી માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

– હાલના રનવે રી-કાર્પેટિંગ કરી દેવાયો છે.

– કાર્ગો ટર્મિનલ કોમ્પ્લેક્સ સમયસર તૈયાર થઇ જશે 

–  ટર્મિનલ બિલ્ડિંગનું વિસ્તરણ કરવામાં આવશે, જે 25,520 ચોરસ મીટરનું થશે. અત્યારે એ 17046 ચોરસ મીટર જેટલું છે. આ થયા બાદ આ ટર્મિનલની ક્ષમતા વર્ષે 26 લાખ લોકોની અવરજવર જેટલી થઇ જશે. 

– ડિસેમ્બર, 2020 સુધીમાં વધુ 10 વિમાન માટે પાર્કિંગ સ્ટેન્ડ માટેના એપ્રન અને ટેક્ષી ટ્રેક બનાવાશે.