CM રુપાણી દ્વારા ‘અમદાવાદ- મુંદ્રા’ વિમાની સેવાનો પ્રારંભ

કચ્છ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ એરપોર્ટથી ‘અમદાવાદ-મુંદ્રા’ વચ્ચેની પ્રથમ વિમાની સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે જણાવ્યું કે, દેશનો આમઆદમી હવાઇ સફર કરી શકે તે માટે ‘ઉડે દેશકા આમ નાગરિક’ના ભાવ સાથે ‘ઉડાન’ સેવા શરૂ કરાઇ છે.

આ યોજનાનો મહત્તમ લાભ રાજ્યના નાગરિકોને મળે તેવો રાજ્ય સરકારનો ધ્યેય છે. રિજ્યોનલ કનેક્ટીવીટી વધે તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે, એર ઓડિશાએ ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત આ સેવાનો પ્રારંભ કર્યો છે. એર ઓડીશાએ ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (જી.એસ.ઇ.સી.), મોનાર્ક ગુ્પ અને એર ડેક્કનનું સંયુક્ત સાહસ છે.

ગુજરાત સરકાર સિવિલ એવીએશન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા  વચ્ચે રિજ્યોનલ કનેક્ટીવીટી સ્કીમ માટે ત્રિપક્ષી કરાર થયા છે. આવા કરાર કરનારા રાજ્યો પૈકી ગુજરાત પણ એક છે. રિજ્યોનલ કનેક્ટીવીટી સ્કીમ – ઉડાનમાં દેશના ૧૯ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોને લાભ મળી રહ્યો છે.‘ઉડાન’ યોજના અંતર્ગત દેશના ૪૦૦ એરપોર્ટને જોડવાની એક ઝુંબેશ છે. જેમાં ગુજરાતના ૧૦ એરપોર્ટનો સમાવેશ છે ત્યારે આ યોજનાનો મહત્તમ લાભ ગુજરાતને મળશે એમ તેમણે ઉમેર્યું હતું.