PSI આત્મહત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં,પોલીસની કામગીરી પર સવાલ

ગાંધીનગર- કરાઇ ખાતે તાલીમ મેળવી રહેલા તાલીમી PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતની ઘટનાની ઉંડાણપૂર્વકની સંપૂર્ણ ન્યાયિક તપાસ માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સાથે સાથે ઘટનાની જાણ થતાં તરત જ રાજ્ય સરકારે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાનૂની રાહે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાના દુષ્પ્રેરણ માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર હશે તો તેની સામે કડક હાથે કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રુપાણીના અધ્યક્ષસ્થાને આજે બુધવારે ગાંધીનગરમાં મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં મુખ્યપ્રધાને ઘટનાને અત્યંત દુઃખદાયક ગણાવી અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યપ્રધાને સર્વગ્રાહી તપાસ થાય તે મુજબ તપાસનો દોર યુદ્ધના ધોરણે હાથ ધરવા સૂચનાઓ આપી છે. ઉપરાંત સુસાઇડ નોટમાં જે કડીઓ મળી છે તે તમામ કડીઓની પણ સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે. હાલ આ તપાસની પ્રક્રિયા અગ્રિમતાના ધોરણે કરાઇ રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર તપાસ સંદર્ભે સતત મોનિટરિંગ કરી રહ્યાં છે.

તેમણે વધુમાં કહ્યું કે, રાઠોડે 31 ડીસેમ્બરના રોજ આપઘાત કર્યો હતો અને પોલીસને બનાવની જાણ થતાંની સાથે જ CRPC – 174 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધીને કાનૂની રાહે તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના DCP ઝોન-૧ અને ACP ‘એ’ -ડીવીઝનની અંગત દેખરેખ હેઠળ સોલા PI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સત્ય હકીકત સામે આવતાં અને પ્રાથમિક તારણો મળતાંની સાથે જ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપથી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

બનાવ સંદર્ભે જે સુસાઇડ નોટ મળી છે, તેમાં કરાઇ ખાતેની ગુજરાત પોલીસ એકેડમીમાં કાર્યરત Dy.S.P.ના કથિત ત્રાસ બાબતે તાલીમી PSIએ આક્ષેપો કર્યા છે. તે સંદર્ભે ભોગ બનનાર અને આક્ષેપિત બંને પોલીસ અધિકારી હોવાથી સત્ય હકીકતોને જાણીને તેનો નિષ્કર્ષ કાઢી અગ્રિમતાના ધોરણે આગળની યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આક્ષેપોને સમર્થન આપતા પુરાવા મળશે તો તે દિશામાં પણ આગળની કાર્યવાહી સત્વરે હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, PSI દેવેન્દ્રસિંહ રાઠોડે કરેલી આત્મહત્યા બાદ પોલીસ જગતમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. જ્યારે આત્મહત્યા કરનારા પીએસઆઈ રાઠોડના પરિવારજનો પણ આ ઘટનાથી ભારે આઘાતમાં હોવાથી તેમના પાસેથી પણ કોઈ વિગતો મળી નથી.