ભૂદરપુરાના સ્થાનિકોએ એલિસબ્રિજ પોલિસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

અમદાવાદ- શહેરના આંબાવાડી વિસ્તારના ભૂદરપુરા વિસ્તારમાં ગત મોડીરાત્રે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચેના ઘર્ષણનો મામલો આજે પણ આગળ વધી રહ્યો છે. ભૂદરપુરાના સ્થાનિકો દ્વારા આજે એલિસબ્રિજ પોલિસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ગત રાત્રે કથિતપણે નશીલી હાલતમાં સ્થાનિક યુવક ગાળો બોલી રહ્યો હતો ત્યારે એક વિદ્યાર્થીએ વિરોધ કરતાં વાત વણસી હતી અને નશીલી હાલતમાં યુવક 500 જેટલા સાથીદારોને લઇને નૈનાબા આઈએએસ-આઇપીએસ હોસ્ટેલ પર  ધમાલ મચાવી હતી. જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓના વાહનો સળગાવી દેવાયાં હતો.  તેમ જ પોલિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલિસે પરિસ્થિતિ કાબૂમાં લેતાં લાઠીચાર્જ અને ટીયરગેસના શેલ ફોડ્યાં હતાં.

ભારે અફડાતફડીના માહોલ વચ્ચે આગ બૂઝાવવા પહોંચેલી ફાયરબ્રિગેડને પણ અટકાવી દેવાઇ હતી. આ ધમાલમાં ત્રણ યુવાનો અને 1 ફાયરકર્મી ઇજાગ્રસ્ત થયાં હતાં. વહેલી સવાર સુધી ચાલેલી પોલિસ કાર્યવાહીમાં 15 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.