30 વર્ષથી ભાજપનો ગઢ અમદાવાદ પૂર્વની બેઠક, હવે મૂંઝવણ થઈ…

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, અને ચૂંટણીપ્રચાર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે અમદાવાદ પૂર્વની બેઠક પર શું થશે, ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર આવશે, તે હજી રહસ્ય છે. પણ છેલ્લા ત્રીસ વર્ષથી અમદાવાદ પૂર્વની બેઠક ભાજપનો ગઢ ગણાય છે, અને આ બેઠક પરથી ભાજપના જ ઉમેદવાર સતત જીતતાં આવ્યાં છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી હિન્દી ફિલ્મના અભિનેતા પરેશ રાવલ જંગી બહુમતીથી જીત્યાં હતાં. જો કે આ વખતે 2019માં ભાજપ પરેશ રાવલને રીપીટ નહીં કરે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. રસપ્રદ છે કે બંને પક્ષ પહેલે આપ પહેલે આપ કરી રહ્યાં છે તેમાં આ બેઠકનો શુમાર છે.

અમદાવાદ પૂર્વની બેઠકમાં કુલ મતદારોની સંખ્યા 17.87 લાખની છે. જે પૈકી 2.36 લાખથી વધુ દલિત, 2.06 લાખથી વધુ પાટીદારો, 1.19 લાખથી વધુ મુસ્લિમ, 2.30 લાખથી વધુ ઓબીસી મતદારો છે. તેમજ બે લાખથી વધુ મતદારો પરપ્રાંતિય છે. આ સિવાય સીંધી અને વિશ્વકર્મા સમાજના લોકો વસે છે.

અમદાવાદ પૂર્વની બેઠકમાં નિકોલ અને ઠક્કરબાપા નગર વિસ્તાર પાટીદાર મતદારોની બહુમતી છે, અને તે પછી આ વિસ્તારમાં દલિત મતદારોની સંખ્યા પણ ઝાઝી છે. નરોડા, બાપુનગર, વટવા બેઠકમાં પરપ્રાંતીયનું વર્ચસ્વ છે. ગાંધીનગર દક્ષિણ બેઠક એ ઠાકોર અને દલિત મતદારોનું પ્રભુત્વ ધરાવે છે. નરોડા બેઠક પર સિંઘી અને પાટીદાર મતદારો વધુ છે.  જ્યારે વટવા અને બાપુનગર વિસ્તાર પર લઘુમતી મતદારો વધુ છે. ટૂંકમાં અમદાવાદ પૂર્વની બેઠક દલિત, પટેલ, ઓબીસી, લઘુમતી અને પરપ્રાંતીય મતદારો નિર્ણાયક રહે છે.

2009ના સીમાંકન પછી અમદાવાદની બેઠક બે બેઠકમાં વહેંચાઈ ગઈ હતી. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ… પણ જ્યારે અમદાવાદની લોકસભાની એક બેઠક હતી, ત્યારે એટલે કે 30 વર્ષ પહેલા કોંગ્રેસના ઉમેદવાર હરુનભાઈ મહેતા છેલ્લે 1984માં વિજેતા બન્યા હતા. 1989 પછી આ બેઠક પર ભાજપે કબજો જમાવ્યો છે.

વર્ષ 1952થી માંડી છેક વર્ષ 1971 સુધી સતત છ વખત આ બેઠક પર મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિક જીત્યા હતા. બે વાર તેઓ કોંગ્રેસમાંથી જીત્યા હતા, અને ત્રણ વખત તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. એને એક વાર તેઓ નુતન મહાગુજરાત જનતા પરિષદના નેજા હેઠળ વિજેતા થયા હતા.

2014ની વાત કરીએ તો ભાજપના પરેશ રાવલ 6,33,582 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને 3,06,949 મત મળ્યા હતા. આમ ભાજપના પરેશ રાવલ 3,26,633 મતથી વિજેતા થયા હતા.

2014ની લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા પરેશ રાવલને તેમના જ મત વિસ્તારમાં કેટલીય વાર અપમાન સહન કરવું પડ્યું છે, એટલે કે તેઓ અમદાવાદ પૂર્વના મતદારોના મન જીતવામાં નિષ્ફળ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના શાસનમાં પરેશ રાવલ તેમના મતવિસ્તારમાં આવ્યા નથી, તેથી અનેક વિવાદો સામે આવ્યા હતા. પરેશ રાવલ દ્વારા કાર્યકરોના કોઈ કામ ન થતાં કાર્યકરો પણ નિરાશ થયા છે. ચાંદખેડામાં અમારા સાંસદ પરેશ રાવલના ફોટા સાથે ગુમ થયાના પોસ્ટર પણ લાગ્યા હતા. જો કે પાછળથી એ વાત સામે આવી હતી કે યુથ કોંગ્રેસ દ્વારા આવા પોસ્ટર લગાડ્યા હતા, પણ પરેશ રાવલ ચાંદખેડાની એક સોસાયટીમાં ગયા ત્યારે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

પક્ષમાં જ પરેશ રાવલની જગ્યાએ ટિકીટ મેળવવા ઈચ્છતાં લોકોએ લોબિંગ શરૂ કરી દીધું છે. અમદાવાદ પૂર્વની જનતા પણ ઈચ્છે છે કે આયાતી ઉમેદવાર નહી પણ સ્થાનિક ઉમેદવાર હોય તો અમદાવાદ પૂર્વના પ્રશ્નોને સમજીને આ વિસ્તારના વિકાસના કામો થાય.

અમદાવાદ પૂર્વની બેઠક પર 2014ની લોકસભાની ચૂંટણીનું પરિણામ

પક્ષ               ઉમેદવાર       મેળવેલા મત              ટકા

  • BJP              પરેશ રાવલ       6,33,582       64
  • Congress      હિંમતસિંહ પટેલ   3,06,949      31
  • AAP              દિનેશ વાઘેલા     11,349          1.15
  • BSP              રાજુભાઈ રોહિત      6,023           –
  • NOTA                   –             14,358         1.46