મગફળી કાંડઃ કૃષિપ્રધાન ફળદુએ નાફેડને ખખડાવ્યું

ગાંધીનગર– મગફળી સળગી જવાની ઘટનાઓ અંગે નાફેડ દ્વારા થયેલાં દોષારોપણો સંદર્ભે કૃષિપ્રધાન આર સી ફળદુએ નાફેડને ખખડાવી નાંખ્યું છે. નાફેડને લખેલાં એક પત્રમાં તેમણે જણાવ્યું છે કે ખરીદી વ્યવસ્થાપનમાં નાફેડ પોતાની જવાબદારી ચૂક્યુ છે.

ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યમાં થયેુલ મગફળીના મબલખ ઉત્પાદન સંદર્ભે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરતાં કેન્દ્ર સરકારે જે ટેકાના ભાવો નક્કી કર્યા હતા તે ઉપરાંત રાજ્ય સરકારે વધારાનું બોનસ આપીને મગફળી ટેકાના ભાવે ખરીદી કરી છે. ખરીદી વ્યવસ્થાપન તંત્રમાં નાફેડ પોતાની જવાબદારી ચૂક્યું છે. નાફેડના અધ્યક્ષશ્રી દ્વારા મીડિયા સમક્ષ જે પત્ર જાહેર કર્યો છે તે સંદર્ભે કૃષિપ્રધાને આ પત્ર પાઠવ્યો છે.

કૃષિપ્રધાન ફળદુએ લખેલો પત્ર અક્ષરશ: આ મુજબ

કૃષિપ્રધાનનો નાફેડને પત્ર

છેલ્લાં બે વર્ષમાં ગુજરાત રાજયના ખેડૂતોના અથાગ પરિશ્રમ, પ્રયત્નો અને રાજય સરકારની ખેડૂતલક્ષી નીતિઓને કારણે રાજયમાં કૃષિ પેદાશોનું મબલખ ઉત્પાદન થયેલ છે. તેના કારણે ખેડૂતોને યોગ્ય બજાર ભાવ મળી શકતાં ન હતાં. આથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા સમગ્ર દેશમાં વિવિધ કૃષિ પદાશોની જરુરીયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી બજારમાં ઓછા ભાવ હોવા છતાં ખેડૂતોને ઉંચા ભાવ આપી ભારત સરકારે અબજો રૂપિયાનું નુકશાન ઉપાડી લીધુ છે. તેવી જ રીતે ગુજરાત રાજયમાં પણ મગફળી, અડદ, કપાસ, તુવેર, ચણા અને રાયડા જેવા પાકોનું ખેડૂતોને બજાર ભાવ કરતા ઉંચી કિમત આપી મોટા પ્રમાણમાં ખરીદી કરાવેલ છે.

આપશ્રીએ મારા નામ જોગ ગઇ કાલે મિડીયા સમક્ષ જે પત્ર જાહેર કર્યો છે તેમાં તમો પોતે કબુલ કર્યું છે કે તમે જે નાફેડ સંસ્થાના ચેરમેન છો તે નાફેડ સંસ્થા પાસે ૨ થી ૩ વર્ષ પહેલા કર્મચારીઓના પગાર કરવાના પૈસા ન હતા, તે સંસ્થાને દેશના ખેડૂતોના હિતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રૂા. ૨૫૦૦૦ કરોડ જેવી માતબર રકમની સંસ્થા દ્વારા ખરીદી કરાવી, નાફેડને જીંવત બનાવી દીધેલ છે.

સમગ્ર દેશમાં નાફેડ દ્વારા ભારત સરકાર ખેડુતોની જરૂરીયાત પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરાવે છે તે જ રીતે આ વર્ષે ગુજરાતમાં અંદાજે ૩૨ લાખ મે.ટન કરતા વધુ મગફળીનું ઉત્પાદન થયું જે દર વર્ષની સરેરાશ કરતા ઘણું વધારે હતું. તેના કારણે બજારમાં ખેડૂતોને મગફળીના પુરતા ભાવ  મળતા ન હતા,  તેથી ગુજરાત સરકારની વિનંતી અને માંગણી ધ્યાને રાખી ભારત સરકારે નાફેડ દ્વારા ગુજરાતમાં મગફળી ખરીદ કરવાની કામગીરી શરૂ કરાવી. સીઝનની શરૂઆતમાં જ્યારે માર્કેટયાર્ડોમાં મોટા પ્રમાણમાં આવક થતી હતી ત્યારે નાફેડે પુરતા પ્રમાણમાં સેન્ટરો નહી ખોલી ખેડૂતોમાં મોટો ઉહાપોહ અને  અસંતોષ થયેલ હતો અને ખેડૂતોએ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ કૃષિ મંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી હતી. ખેડૂતોની લાગણી ધ્યાને રાખી નાફેડની જવાબદારી હોવા છતાં, રાજય સરકારે ખેડૂતોના હિતમાં નાફેડને મદદરૂપ થવા માટે મગફળી ખરીદીના વધુને વધુ સેન્ટરો શરૂ થાય અને મગફળીનો સંગ્રહ કરવા માટે નાફેડને વધુ ગોડાઉનો પ્રાપ્ત થાય તે માટે રાજયના વહીવટી તંત્ર દ્વારા આપને મદદરૂપ થવાનો સંપુર્ણ પ્રયત્ન કરેલ છે. આ સીઝનમાં રાજયમાંથી ૮ લાખ મે.ટન કરતાં વધુ મગફળીની ખરીદી રાજય સરકારશ્રીના સહયોગથી કરવામાં આવેલ છે. જો રાજય સરકારે મદદ ન કરી હોત તો નાફેડ આના કરતા અડધી ખરીદી પણ ન કરી શક્યુ હોત અને ગુજરાતના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન થયુ હોત.

આપશ્રી નાફેડના ચેરમેન છો, ગુજરાતના અને સૌરાષ્ટ્રના છો છતાં પણ લગભગ ૮ મહિના કરતાં વધુ સમય સુધી મગફળી અને અન્ય જણસીઓની ખરીદી ચાલતી હતી ત્યારે નાફેડના ચેરમેન તરીકે કોઇપણ કામમાં કયાંય કોઇ ખોટુ થતુ હોય તો તમે રાજય સરકારનું એકપણ વખત ધ્યાન દોર્યુ નથી. આપશ્રી જાણો છો કે નાફેડના ખરીદી સેન્ટર પર મગફળીની ગુણવતા જોવા માટે નાફેડના પ્રતિનિધિ હાજર હોય છે તેની મંજુરી બાદ જ મંડળીઓ મગફળીની ખરીદી કરે છે. તમારા પ્રતિનિધિની હાજરીમાં વજન થાય છે અને નાફેડના બારદાનમાં જ તે મગફળી ભરવામાં આવે છે અને તે સીલ કરવામાં આવે છે અને આ મગફળી જે ગોડાઉન પર સ્ટોક માટે મોકલવાની હોય તે ગોડાઉન પર પણ ટ્રક ખાલી કરાવતી વખતે તમારા પ્રતિનિધિ તેનું રેન્ડમ ચેકીંગ કરે છે અને તેમની સંમતિ બાદ જ આ મગફળી ગોડાઉનમાં ઉતારવામાં આવે છે. યોગ્ય ગુણવત્તા અને વજનવાળી મગફળી ગોડાઉનમાં આવી ગઇ છે એવો નાફેડ તરફથી દાખલો આપવામાં આવે છે અને આ દાખલો મળ્યા બાદજ તે મગફળીનું ચુકવણું મગફળી વેચનાર ખેડૂતોના ખાતામાં સીધે સીધુ ઓન લાઇન જમા કરાવવામાં આવે છે. આ કોઇ પ્રક્રિયામાં રાજય સરકાર કોઇ રીતે સંકળાયેલ નથી.

નાફેડના ચેરમેન તરીકે આપશ્રી આ બધું જ જાણતા હોવા છતાં તમે જે નિવેદન કર્યુ તેમાં કૃષિ મંત્રી તરીકે મને કે મારી સરકારને સાંકળવાનો જે પ્રયત્ન કરેલ છે જે સહેજ પણ ઉચિત નથી.

ખરેખર તો તમારે ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની પ્રજાને તમે નાફેડના ચેરમેન હોવા છતાં અને સૌરાષ્ટ્રમાં જ રહેતા હોવા છતાં મગફળી ખરીદીની આખી પ્રક્રિયામાં કોઇ માર્ગદર્શન કે મદદ કેમ નથી કરી અને તમો જવાબદારી / ફરજ ચુકયા છો તેનો ખુલાસો કરવો જોઇએ. રાજયમાં ૮ મહિનાથી વધુ સમય સુધી ૮ લાખ ટન કરતાં વધુ  મગફળીની ખરીદી ચાલી તે દરમિયાન તમારા તરફથી રાજય સરકારને એક પણ વખત કોઇ સલાહ, સુચન કે ફરિયાદ કરવામાં આવી હોય તેવું મારા ધ્યાનમાં નથી.

તમે કેટલીક મંડળીઓ પર ગેરરીતિ કરવાનો આક્ષેપ કર્યો છે તે મંડળીઓની કામગીરી અંગે પણ તમે કદી કોઇ ફરીયાદ કરી નથી. રાજય સરકારે તો નાફેડને મદદ કરી છે, પણ ખરીદીની જવાબદારી ચેરમેન તરીકે તમારી હતી.

 તમારા પત્રમાં તમે કેટલા ગોડાઉનોમાં આગ લાગી તે વિષે ઉલ્લેખ કર્યો છે પરંતુ મારે તમને પુછવું છે કે, જયારે ગોડાઉનમાં આગ લાગી ત્યારે તમે શું કાર્યવાહી કરી. જો કાંઇ ખોટું થયું હોય કે ગેરરીતિ થઇ હોય તેવું તમને લાગતું હોય તો તમોએ તે વખતે કેમ ફરિયાદ ન કરી. અમારી જાણકારી પ્રમાણે આપે ચેરમેન હોવા છતાં તથા નાફેડના કબજા હેઠળ મગફળી હોવા છતાં આપે કોઇ ગોડાઉનની જે તે વખતે મુલાકાત લીધી નથી, કોઇ ખોટું થયું હોય તેવી કોઇ ફરિયાદ કરેલ નથી. જો તમે ખેડૂતોના સાચા અને જવાબદાર પ્રતિનિધિ હોત તો નાફેડના ચેરમેન તરીકે તમારી જવાબદારી થતી હતી કે તમે તમારી માન્યતા પ્રમાણે જયાં પણ ખોટું થયું હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી શકયા હોત. આમાનું કશું જ આપે કર્યુ નથી અને હવે છેલ્લે રહી રહીને તમારી જવાબદારીમાંથી છટકવા માટે ખોટા નિવેદનો કરી રહયા છો.

અમારી સરકારે તો જયારે પણ મગફળી ગોડાઉનમાં આગ લાગી કે તરત જ પોલીસ ફરીયાદ પણ કરેલ છે. સી.આઇ.ડી. ક્રાઇમને પણ તપાસ સોંપી છે અને એફ.એસ.એલ. દ્વારા પણ તપાસ કરાવી છે. જે મંડળીઓમાં સહેજ પણ ગેરરીતિની ફરીયાદ આવી તેવી તમામ મંડળીઓને ખરીદી કરવાની મંજુરી રદ કરાવી છે. ખરેખર આ બધું આપે કરવાનું થતું હતું પણ આપે કશુ જ કર્યુ નથી. પણ ગુજરાતના ખેડૂતોના હિતમાં સરકારે નાણાંનો દુર્વય ન થાય તે માટે અમોએ કડક કાર્યવાહી કરાવી છે અને હજુ પણ મારી આપને વિનંતી છે કે તમને કયાં પણ ખોટું થયું હોય તેવું જણાતું હોય તો લેખીતમાં ફરીયાદ કરશો તો રાજય સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરાવશે. અમારા હૈયે ફકત ગુજરાતના ખેડૂતોનું હિત જ સમાયેલું છે. અમે ગેરરીતિ કરનાર કોઇને પણ છોડવા માંગતા નથી. અને હજુ તમે જે ફરીયાદ કરશો તે અંગે કાર્યવાહી કરાવીશું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં રૂા.૨૫૦૦૦ કરોડ જેવી માતબર રકમની ખરીદીની જવાબદારી ફકત ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી તમને સોંપી હોઇ અને તમે તમારી જવાબદારી યોગ્ય રીતે ન બજાવો તે ખેડૂતો પ્રત્યે આપનો દ્રોહ છે અને ભારત સરકારનો વિશ્વાસ પણ ઓછો થાય તેવું આપે કર્યુ છે. આવું કેમ કર્યુ તેનો તમોએ રાજયના ખેડૂતોને જવાબ આપવો જોઇએ.

ગુજરાતના ખેડૂતોને મદદરૂપ થવાના ઉદેશથી ભારત સરકાર તરફથી ટેકાના ભાવની સાથે સાથે અમારી રાજય સરકારે ભારત સરકારના ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ કિ.વી. ૫૦૦ અને મગફળીમાં પ્રતિ કિ.વી. ૫૦ રૂપિયા બોનસ જાહેર કરી ગુજરાતના ખેડૂતોને વધારે લગભગ રૂપિયા ૬૬ કરોડ જેટલી રકમ વધારે આપી છે.

તમારા તરફથી ભારત સરકારને સમયસર બીલો અને ગોડાઉનની પાવતીઓ રજુ નહીં થવાને કારણે મગફળીનું પેમેન્ટ જે મોડું થયું હતું તે નિવારવા અમારી રાજય સરકારે રૂા.૪૧૬ કરોડ ખેડુતોને મગફળીનું સમયસર પેમેન્ટ મળે તે માટે રીવોલ્વીંગ ફંડ પેટે ફાળવેલ છે. આમ બધી જ રીતે ગુજરાત સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી તમારે જે જવાબદારી બજાવવાની હતી તે સમયસર ન બજાવી શકયા તે હકીકત આપે સ્વીકારવી જોઇએ. જે હકિકત આપ ધ્યાને રાખશો, તેવી અપેક્ષા સહ.