જળસ્તર ઓછું થતાં કેન્દ્રએ ગુજરાત સહિત 6 રાજ્યોમાં જાહેર કરી એડવાઈઝરી

ન્યૂ દિલ્હીઃ દેશના અલગઅલગ ડેમોમાં પાણીનું સ્તર ઓછું થઈ જતાં હવે કેન્દ્ર સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ એમ છ રાજ્યોમાં દુકાળને લગતી એડવાઈઝરી જાહેર કરી છે, સાથે જ રાજ્યોના લોકોને સાવચેતીથી અને યોગ્ય રીતે પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

શુક્રવારે તમિલનાડુમાં એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી, જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગયા અઠવાડિયે એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. તેમ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના સભ્ય એસ.કે. હલ્દારે કહ્યું. આ એડવાઈઝરી ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે જળાશયોમાં પાણીનું સ્તર ગત 10 વર્ષથી સંગ્રહ કરાયેલા પાણીના 20 ટકા ઓછું હોય. જ્યાં સુધી તમામ ડેમો ફરીથી ભરાઈ ન થાય ત્યાં સુધી આ એડવાઈઝરી રાજ્યોમાં પાણીનો ઉપયોગ માત્ર પીવા માટે કરવાની સલાહ આપે છે.

CWC દેશભરના મુખ્ય 91 જળાશયોમાં પાણીના સ્ટોરેજ અંગેની દેખરેખ રાખે છે.પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનુક્રમે 10 અને 17 એમ કુલ મળી 27 જળાશયો છે, જેની દેખરેખ CWC કરે છે, જેની કુલ લાઈવ સ્ટોરેજ ક્ષમતા 31.36 BCM છે. ગુરુવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે પાણીનો કુલ સંગ્રહ 35.99 BCM છે, જે આ જળાશયોની કુલ ક્ષમતા કરતા 22 ટકા જ છે. 91 જેટલા જળાશયોની કુલ ક્ષમતા 161.993 BCM છે. 9મીમે રોજ આંકડો 24 ટકા હતો. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં સ્થિતિ વધારે ગંભીર છે.

આ જળાશયોમાં 16મીમે રોજ પાણીનો જથ્થો 4.10 BCM હતો, જે કુલ લાઈવ સ્ટોરેજ કેપેસિટીના 13 ટકા હતો. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રના 27 જળાશયોમાં પાણીનો સંગ્રહ 18 ટકા હતો અને ગત 10 વર્ષના સરેરાશ સંગ્રહનો 22 ટકા હતો.