યોગ ક્ષેત્રે કારકિર્દી બનાવવી હોય તો કેટલી તકો છે?

અમદાવાદ– આગામી 21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગનું વૈશ્વિક સ્તરે મહત્વ વધી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રમાં કારકિર્દીની પણ ઉજવળ તકો રહેલી છે. જેને લઈને શહેરની દિલ્હી પબ્લિક સ્કૂલ ઈસ્ટ (ડીપીએસ ઈસ્ટ) ખાતે યોગ ક્ષેત્રે કારકિર્દી અંગે વિદ્યાર્થીઓ સાથે એક ચર્ચા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.

ડો.વિજય કુમાર પી એસ, એસોસિએટ પ્રોફેસર અને યોગા થેરાપી કન્સલ્ટન્ટ,લકુલીશ યુનિવર્સિટીએ બેઠકનું સંચાલન કર્યું હતું.

ડીપીએસ ઈસ્ટ સ્કૂલના ઉપક્રમે વિદ્યાર્થીઓ પરંપરાગત પ્રવાહો પૂરતી કારકિર્દી સrમિત ન રાખે અને  વિવિધ ક્ષેત્રે કારકિર્દી અંગે માહિતગાર કરીને તે માહિતી આધારિત નિર્ણય લઈ શકે તેવું વાતાવરણ સર્જવાના સતત પ્રયાસોના હિસ્સા તરીકે આ ચર્ચાનુ આયોજન કરવામાં આવ્યું હતું.

યોગ હંમેશાં પશ્ચિમના લોકોને આકર્ષતો રહ્યો છે, પરંતુ જ્યારથી 21 જૂનને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાની શરૂઆત થઈ ત્યારથી આ સદીઓ જૂની પ્રણાલી વિશ્વમાં વધુ લોકપ્રિય બની છે.

આ ઉપરાંત આ ક્ષેત્રે મોટેભાગે સર્ટિફાઈડ ટ્રેઈનર્સ પણ ઉપલબ્ધ નથી. આ કારણે  વિદ્યાર્થીઓને યોગ અને ફીટનેસના ક્ષેત્રે કારકિર્દી ઘડવાની તક મળી રહે છે.