PMને મારવાના ISના આતંકી કાવતરાંમાં ઝડપાયેલાં વકીલ મિર્ઝા સામે ATS ચાર્જશીટ

ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા અંકલેશ્વરની કોર્ટમાં ISના ઓપરેટર હોવાનો આરોપ સાથે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. IS તરફથી આતંકી ષડયંત્ર રચવાના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના ષડયંત્ર સાથે શકમંદ વકીલ ઉબેદ અહમદ મિર્ઝા અને અન્ય એક જેનું નામ ફેરારી નામથી ઉલ્લેખિત વ્યક્તિ સામે ચાર્જશીટ નોંધાઇ છે.એટીએસ દ્વારા સૂરત જિલ્લા કોર્ટમાં વકીલ તરીકે કામ કરતો ઉબેદ અને લેબ ટેકનિશિયન કાસીમ સ્ટિમ્બરવાલાની 25 ઓક્ટોબર 2017ના રોજ અંકલેશ્વરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ થયેલી પૂછપરછ અને તેઓ વ્હોટસએપના જે ગ્રુપ દ્વારા ચેટિંગ કરતાં હતાં તેની સાથે સંકળાયેલ જમૈકન કટ્ટરપંથી મૌલવી અલ ફૈસલ તથા અન્ય એક અરમાર નામના શખ્સ સામે પણ આતંકી ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આરોપીએ સ્નાઇપર રાઇફલથી પીએમ નરેન્દ્ર મોદીને મારવા માગતા હતાં તેવા સંદેશા પણ એટીએસને મળ્યાં છે. ઉપરાંત લોકોમાં ભય ફેલાવવા એકાકી આતંકી હુમલા દ્વારા ભારતમાં વસતાં યહૂદી લોકોને મોટા છરા વડે મારવાના કાવતરાં ઘડતાં સંદેશાઓ પણ મેળવાયાં હતાં.