350 કરોડના ખર્ચે 75 ફ્લાયઓવર અને 37 રેલવે ઓવરબ્રીજ બનશે, મેટ્રો રેલ ફેઝ-2 મંજૂરઃ DY CM નિતીન પટેલ

ગાંધીનગરઃ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યના શહેરો-નગરોની કાયાપલટ કરવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. જેના પરિણામે રાજ્યના શહેરો અને નગરો માળખાગત સુવિધા ક્ષેત્રે ગુજરાતમાં શિરમોર રહ્યાં છે.

ગુજરાત વિધાનસભામાં ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વર્ષ ૨૦૧૯-૨૦ની સુધારેલ અંદાજપત્રની રૂ.૧૩૧૪૯ કરોડની માંગણીઓ રજૂ કરતાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે ઉમેર્યુ કે,વધતા જતાં શહેરીકરણ અને ઔધોગિકરણ અને વિકાસની આ હરણફાળને કારણે શહેરોમાં વિવિધ પ્રકારની માળખાકીય સુવિધાઓ, રોડ, ગટર, પાણી, વીજળી, સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા મોટા પાયે નાણાંકીય ફાળવણી કરી છે.

માળખાગત સુવિધાઓ જેવી કે બગીચાઓ, ફલાયઓવર, પુલો, ટાઉનહોલ વગેરે સુવિધાઓ માટે વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં આ યોજના હેઠળ રૂ.૩૦,૫૦૦ કરોડ જેટલી માતબર રકમ શહેરી વિસ્તારો માટે ફાળવવામાં આવી છે. ચાલુ વર્ષે પણ આ યોજના હેઠળ રૂ.૪૮૯૪ કરોડ જેટલી રકમની જોગવાઇ કરાઇ છે. 

ટ્રાફીક અને પ્રદુષણની સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે ત્યારે નાગરિકોના સમયની બચત થાય તે માટે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ૫૪ અને નગરપાલિકા વિસ્તારોમાં ૨૧ મળી કુલ-૭૫ ફલાય ઓવર અને ૩૭ રેલ્વે ફાટકો ઉપર ઓવરબ્રીજ અથવા અન્ડર બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ વર્ષથી શરૂ કરાશે. જે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે. આ માટે રૂ.૩૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તેમજ શહેરની આજુબાજુના વિસ્તારો તથા આઉટગ્રોથ વિસ્તારોમાં પણ પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ વગેરે કામો માટે રૂ.૨૫૦ કરોડની આ વર્ષે વિશેષ ફાળવણી કરી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છની નગરપાલિકાઓમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે અને લોકોને નિયમિત પાણીનો પુરવઠો પૂરો પાડી શકાય તે માટે આવી નગરપાલિકાઓ માટે જ વિશેષ રૂ.૨0૦ કરોડની ખાસ ફાળવણી કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ છે.

૨૦૨૨ સુધીમાં સૌને ઘર પૂરા પાડવાના ઉમદા હેતુસર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૪,૮૦,૦૦૦ આવાસો મંજૂર કરવામાં આવ્યાં છે.  આ માટે ચાલુ વર્ષે કુલ રૂ.૧૨૪૮ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. અત્યાર સુધી ૨.૬૨ લાખ આવાસો અંગેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઝૂંપડપટૃી પુનઃવસન, કેડ્રીટ લીંક સબસીડી,એફોર્ડેબલ હાઉસ ઇન પાટર્નરશીપ અને લાભાર્થીની આગેવાની હેઠળ ઘર બાંધકામ માટે સહાય એમ ચાર ઘટક માટે વિવિધ સહાય આપવામાં આવે છે. કેડ્રીટ લીંક સબસીડી કંપોનન્ટ હેઠળ ગુજરાત સહાય આપવામાં દેશભરમાં પ્રથમ ક્રમે છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોને સ્વચ્છ બનાવવા અને નાગરીકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તે માટે કુલ રૂ.૩૬૮ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ શહેરોમાં શૌચાલયો, કોમ્યુનીટી ટોઇલેટનું બાંધકામ કરવામાં આવે છે.

અમદાવાદ મેટ્રો રેલની કામગીરી માટે રૂ.૫૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ફેઝ-ર તેમજ સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે જે સંદર્ભે સર્વે અને તાંત્રિક અભ્યાસ માટે ચાલુ વર્ષે રૂ.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે અકસ્માતને લગતી આગની ઘટનાઓને નિવારવા અને ઘટના સ્થળે તુરંત અગ્નિશામક સાધનો અને માનવબળ પહોંચી શકે તે માટે અત્યાધુનિક સાધનો અને માનવબળ ઊભુ કરવા માટે કુલ રૂ.૧૨૯ કરોડની નવી બાબત તરીકે ફાળવણી કરવામાં આવી છે.

અમૃત યોજના હેઠળ ૮ મહાનગરપાલિકા અને ૨૬ નગરપાલિકા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન પૂરી પાડવા રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કુલ રૂ.૪૮૮૪ કરોડના ૩૪૪ કામો મંજૂર કરાયા છે. રાજયના ૬ સ્માર્ટ સીટી અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સ્માર્ટસીટી મિશન અંતર્ગત એરીયા બેઝ વિકાસના માટે કામો, એરીયા રીડેવલપમેન્ટ, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, CCTV ઇન્ટરનેટ કનેકટીવીટી વગેરે કામો માટે ચાલુ વર્ષે રૂ.૫૯૭ની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કુલ રૂ.૧૨,૩૨૧ કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજયમાં ૧૧.૨૬ લાખ LED લાઇટો રીપ્લેસમેન્ટ દ્વારા લગાડવામાં આવેલ છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંગે બાંધકામ પરવાનગી અને બાંધકામ વપરાશ પરવાનગી પરત્વે જી.આઇ.એસ. બેઝ્ડ સીસ્ટમ ડેવલપ કરવામાં આવશે. વિવિધ નાં-વાંધા પ્રમાણ પત્ર માટેની બાહ્ય સંસ્થાઓની ઓનલાઇન સીસ્ટમ સાથે ઇન્ટીગ્રેશન કરવામાં આવેલ છે.

રાજ્યના શહેરી વિકાસ વિસ્તારોના સમતુલિત આયોજીત વિકાસના હેતુસર વર્ષ ૨૦૧૮-૧૯ માં રાજ્ય સરકારે ૪ વિકાસ યોજના, ૪૮ મુસદારૂપ નગર રચના યોજના, ૨૮ પ્રારંભિક નગર રચના યોજના અને ૨૬ આખરી નગર રચના યોજના મંજુર કરવામાં આવી છે. આ માંગણીઓ વિધાનસભા ખાતે મંજૂર કરવામાં આવી છે.

 

  • રાજ્યની મહાનગરપાલિકા-નગરપાલિકા વિસ્તારમાં રૂ.૩૫૦ કરોડના ખર્ચે ૭૫ ફ્લાયઓવર અને ૩૭ રેલ્વે ઓવરબ્રીજ બનાવાશે
  • અમૃતમ યોજના હેઠળ શહેરો-નગરોમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ
  • સૌરાષ્ટ્ર-કચ્છની નગરપાલિકાઓમાં પીવાનું પાણી પુરૂ પાડવા રૂ.૨૦૦ કરોડ ફાળવાયા
  • પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂ.૧૨૪૮ કરોડની જોગવાઇ : ૨.૬૨ લાખ આવાસો પૂર્ણ
  • અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂ.૫૧૦ કરોડની જોગવાઇ : અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ફેઇઝ-૨ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ મંજૂર
  • સ્માર્ટ સીટી મિશન હેઠળ ૬ શહેરોમાં વિવિધ પ્રોજેક્ટો માટે રૂ.૫૯૭ કરોડ ફાળવાયા
  • વિધાનસભા ખાતે શહેરી વિકાસ વિભાગની માંગણીઓ મંજૂર