નડીયાદના વિરલ મતદાર પ્રવીણ શાહ, કાલે હાર્ટનું ઓપરેશન, આજે મતદાન કર્યું

અમદાવાદઃ લોકશાહી પર્વનું મહત્વપૂર્ણ અંગ એવા મતદાન માટે આજે સૌ ગુજરાતવાસીઓને મતાધિકારનો ઉપયોગ કરવાનો અવસર છે. ત્યારે ઘણાં મતદારોએ એક યા બીજા કારણોસર મતદાન કરવાનું ટાળ્યું છે. એવામાં અમદાવાદના નડીયાદના રહેવાસી 72 વર્ષના પ્રવીણ શાહનો મતાધિકાર વાપરવાનો ઉત્સાહ અન્યોને પ્રેરણા પૂરી પાડે એવો છે.  પ્રવીણ શાહે કમ્પલીટ હાર્ટ બ્લોકનું નિદાન થયાં પછી ગાઈકાલે જ સોમવારે, પરમેનન્ટ પેસમેકર ઈમ્પ્લાન્ટનું ઓપરેશન કરાવ્યું હતું.

તેમણે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં આ ઓપરેશન કરાવ્યું હતું ત્યારે હોસ્પિટલ તંત્રએ પણ તેમની મતદાન કરવાની જાગૃતિને લઇને તેમને વહેલી રજા આપી હતી એટલું જ નહીં સિમ્સના નિષ્ણાત ડોક્ટરોની ટીમ એમ્બ્યૂલન્સમાં તેમને વતન નડીયાદમાં મતદાન માટે લઇ ગઈ હતી.

72 વર્ષની વયના દર્દી પ્રવીણ શાહ જણાવે છે કે ” ચૂંટણીએ લોકશાહીનો ઉત્સવ છે. આ ઉજવણીમાં જોડાવાની  અને મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે. દરેક મત ગણતરીમાં લેવાય છે અને તે અમૂલ્ય છે. આથી મેં ડોકટરોને વિનંતી કરી હતી કે મને વહેલી રજા આપવામાં આવે કે જેથી હું મારી ફરજ બજાવી શકુ.હું સીધો મતદાન મથકે જઈને મતદાન કરી શકુ તેવી ખાસ વ્યવસ્થા કરીને મને સહયોગ આપનાર સિમ્સની ટીમનો હું ખૂબ જ આભારી છું.”

ખાસ બાબત ધ્યાનમાં લઈને કરાયેલી સગવડ અંગે વાત કરતાં સિમ્સ હૉસ્પિટલના ડિરેકટર એરિથમીયા અને એચએફ ડિવાઈસ ક્લિનિક ડો. અજય નાયક જણાવે છે કે “દર્દીને કમ્પલીટ હાર્ટબ્લોકને કારણે રવિવારે દાખલ કરાયા હતા અને  સોમવાર તા. 22 એપ્રીલના રોજ પરમેનન્ટ પેસમેકર ઈમપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ એક જીવલેણ રોગ છે અને તેમાં હૃદયરોગના હૂમલાને કારણે ઓચિંતુ મોત થઈ શકે છે.સામાન્ય રીતે  આ શસ્ત્રક્રિયા પછી દર્દીને  સંપૂર્ણ સાજા થવા માટે બે સપ્તાહના આરામની સલાહ આપવામાં આવે છે, પરંતુ આ વડીલે વ્યક્તિએ ભારતના નાગરિક તરીકે ફરજ બજાવવા માટે મતદાન કરવાની ઉંડી  ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમનો ઉત્સાહ અને દ્રઢ ઈચ્છા જોઈને તથા તેમની તબિયત ઝડપથી સુધરી રહી હોવાથી અમે તેમની ઈચ્છા પૂર્ણ કરવાનુ પસંદ કર્યું. સિમ્સના કુશળ ડોકટરોની ટીમ તેમને એમબ્યુલન્સ મારફતે મતદાન કરવા માટે નડીયાદ લઈ ગઈ હતી અને તે પછી નડીયાદમાં ડો. તુષાર શાહ તેમની સંભાળ લેશે. “

સામાન્ય રીતે હૃદયના ઉપરના ખાના એટ્રીયામાંથી નીચેના ખાના વેન્ટ્રીકલ્સ સુધી ઈલેકટ્રીકલ સિગ્નલ પસાર થઈ શકે નહી ત્યારે કમ્પલીટ હાર્ટ બ્લોક પેદા થાય છે. આવી હાલતમાં હૃદયની ગતિ મંદ પડી જાય છે. પેસમેકર સિસ્ટમની મદદ વડે કાળજીપૂર્વક કેલીબ્રેટ કરેલી ઈલેક્ટ્રીક પલ્સ હૃદયના સ્નાયુઓને સતેજ કરે છે અને હૃદય તંદુરસ્ત હૃદયની માફક જ ધબકવા લાગે છે.