29 જાન્યુઆરીથી પોરબંદરથી અમદાવાદ સુધી ‘‘ગાંધી જીવનશૈલી’’ પદયાત્રા યોજાશે

ગાંધીનગર- ગુજરાતના પનોતા પુત્ર અને રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી, ગુજરાત વિદ્યાપીઠ અને ભારત સરકારના ઉપક્રમે આગામી ૨૯મી જાન્યુઆરી-૨૦૧૯થી પોરબંદરથી સાબરમતી આશ્રમ સુધી ગાંધી જીવન પદયાત્રાનું આયોજન કરવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના એન.એન.એસ કાર્યાલય ડાયરેક્ટર ઓફ એન.એસ.એસ. ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે ૨૯મી જાન્યુઆરીથી ૨૮મી ફેબ્રુઆરી એક માસ માટે યોજાનાર આ પદયાત્રામાં ૧૫૦થી વધુ યુવાનો જોડાશે.

પૂજ્ય બાપુની જન્મભૂમિ પોરબંદરથી કર્મભૂમિ સાબરમતી અમદાવાદ સુધી યોજાનાર આ પદયાત્રા ૧૫૦થી વધુ ગામોમાં પરિભ્રમણ કરશે. આ યાત્રા દરમિયાન ગાંધી જીવનના મૂલ્યો, ગાંધી વિચારોનો પ્રચાર પ્રસાર કરશે સમગ્ર યાત્રા દરમિયાન એન.એન.એસ.ના યુવાનો ગ્રામ સફાઇ, ગાંધી વિચાર-વિમર્શ, લોકસંપર્ક, વ્યાખ્યાન, ગાંધીગીતો, શેરીનાટક, ફેરી, રેલી, ગ્રામસભા, મતદાન જાગૃતિ જેવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ કેળવાશે.

આ પદયાત્રા દરમિયાન વિવિધ જિલ્લાઓમાં આવતી શાળાઓ કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લઈને ગાંધી વિચાર તથા ગાંધી જીવનના આદર્શોને બળવતર બનાવવા પ્રયાસો કરાશે.