અભિનેત્રી પૂજા ડડવાલે કહ્યું, ‘સલમાને મદદ કરી એટલે જ હું જીવતી રહી છું’

મુંબઈ – 1995માં આવેલી ‘વીરગતિ’ ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કરનાર અભિનેત્રી પૂજા ડડવાલ ગંભીર બીમારીમાં પટકાઈ ગઈ હતી એ સમાચારે કેટલાક મહિનાઓ પહેલાં સનસનાટી મચાવી દીધી હતી.

હવે પૂજાએ કહ્યું છે કે, ‘સલમાન ખાનને કારણે જ હું ટીબીની બીમારીમાંથી બચી શકી છું.’

પૂજાએ કહ્યું, ‘ટીબીની બીમારી સામે મેં પાંચ મહિના સુધી જંગ ખેલ્યો હતો. સલમાનની સંસ્થાએ મારી સંપૂર્ણપણે તકેદારી લીધી હતી. એની તરફથી મને પહેરવાનાં કપડાંથી લઈને સાબુ, ડાયપર્સ, ભોજન, દવાઓ સહિત બધી જ ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી.’

ટીબીની બીમારીને કારણે પૂજાનું વજન ઘટીને માત્ર 23 કિલો થઈ ગયું હતું. એને ગયા માર્ચ મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પૂજાએ કહ્યું કે ગઈ બીજી માર્ચે જ્યારે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે મને લાગ્યું હતું હું મરી જઈશ. મારા પરિવારજનો અને મિત્રોએ મને તરછોડી દીધી હતી. હું સલમાન ખાનની ખૂબ જ આભારી છું કે એણે મને મદદ કરી. હું ભયાનક યાતનામાંથી ઉગરી શકી છું, માત્ર સલમાનને કારણે.