અભિનેતા પ્રકાશ રાજે PM મોદી પર સાધ્યું નિશાન

નવી દિલ્હીઃ જાણીતા એક્ટર પ્રકાશ રાજે જર્નલિસ્ટ ગૌરી લંકેશના મર્ડર પર પીએમ મોદીના મૌનની નિંદા કરતાં પોતાનો પાંચમો નેશનલ એવોર્ડ પરત આપવાની ચીમકી ઉચ્ચારી છે.

પ્રકાશ રાજે જણાવ્યું કે ગૌરી લંકેશના હત્યારા પકડાય કે ન પકડાય પરંતુ આની આડમાં કેટલોક વર્ગ એવો પણ છે કે જે સોશિયલ મીડિયા પર ગૌરી લંકેશના મર્ડરનો જશ્ન મનાવી રહ્યો છે. રાજે જણાવ્યું કે તમામ લોકોને ખબર છે કે કયા એવા લોકો છે અને તેઓ કેવી વિચારધારા સાથે સંબંધ રાખે છે. આમાંથી કેટલાક લોકો તો વડાપ્રધાન મોદીને ફોલો પણ કરે છે. પ્રકાશે જણાવ્યું કે મને ડર લાગે છે કે આપણો દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે?

પ્રકાશ બેંગાલુરૂમાં ડેમોક્રેટિક યૂથ ફેડરેશન ઓફ ઈંડિયાના 11માં રાજ્ય સમ્મેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યાં હતાં. ફિલ્મોમાં નેગેટિવ પાત્રો નિભાવવા માટે લોકપ્રિય એવા પ્રકાશ રાજે અહીં સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા જણાવ્યું હતુ કે પીએમ મોદી તો મારા કરતાં પણ સારા એક્ટર છે. પ્રકાશે ગૌરી લંકેશના મર્ડર પર જશ્ન મનાવતા લોકો વિરૂદ્ધ આક્રોશ પ્રગટ કર્યો હતો. તેમણે પોતાના એવોર્ડ પરત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.