શાહિદે પોતાનો ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ પત્ની મીરાને અર્પણ કર્યો

મુંબઈ – ‘પદ્માવત’ ફિલ્મમાં ભજવેલી ભૂમિકા બદલ બોલીવૂડ એક્ટર શાહિદ કપૂરને ‘દાદાસાહેબ ફાળકે એક્સલન્સ એવોર્ડ’ (બેસ્ટ એક્ટર એવોર્ડ)થી સમ્માનિત કરવામાં આવ્યો છે. એણે પોતાનો આ એવોર્ડ પત્ની મીરા રાજપૂત-કપૂરને સમર્પિત કર્યો છે.

શાહિદને મુંબઈમાં શનિવારે યોજાઈ ગયેલા સમારંભમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

એક મુલાકાતમાં શાહિદે કહ્યું કે, આ વર્ષમાં ‘પદ્માવત’ માટે મારો આ પહેલો એવોર્ડ છે. એ મેળવ્યાની મને બેહદ ખુશી થાય અને હું આ એવોર્ડ મારી પત્ની મીરાને અર્પણ કરું છું, કારણ કે એ આખા વર્ષ દરમિયાન એણે મને બહુ સહન કર્યો હતો. એનાં વિના હું આ ફિલ્મ કરી શક્યો ન હોત. હું એનો ખૂબ જ આભારી છું.

શાહિદ અને મીરાને એક પુત્રી છે – મિશા. દંપતીએ હાલમાં જ જાહેરાત કરી છે કે મીરા ફરી ગર્ભવતી થઈ છે.

શાહિદ કપૂર હવે ‘બત્તી ગુલ મીટર ચાલુ’ ફિલ્મમાં જોવા મળશે. એમાં એની બે હીરોઈન છે – શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ.

‘દાદાસાહેબ ફાળકે એક્સલન્સ એવોર્ડ-2018’ અર્પણ સમારોહમાં કરણ જોહર, સિમી ગરેવાલ, શિલ્પા શેટ્ટી, કાર્તિક આર્યન, અદિતી રાવ હૈદરી, કૃતિ સેનન, રાજકુમાર રાવ તથા અન્ય બોલીવૂડ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.