પીઢ ફિલ્મ, ટેલિવિઝન, રંગભૂમિ અભિનેતા ટોમ ઓલ્ટરને કેન્સર છે; મુંબઈની સૈફી હોસ્પિટલમાં દાખલ

મુંબઈ – હિન્દી ફિલ્મો તેમજ ટીવી સિરિયલો અને રંગભૂમિના જાણીતા અભિનેતા ટોમ ઓલ્ટરને કેન્સર થયું છે. આ ‘પદ્મશ્રી’ સમ્માનિત અભિનેતાને દક્ષિણ મુંબઈના ચર્નીરોડ સ્થિત સૈફી હોસ્પિટલમાં એક અઠવાડિયાથી દાખલ કરવામાં આવ્યા છે. એમના પરિવારે આ દુખદ સમાચાર આજે શેર કર્યા છે.

67 વર્ષીય ટોમ ઓલ્ટર સૈફી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરના સુપરવિઝન અને સારવાર હેઠળ છે.

ઓલ્ટર પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગમાં ગોલ્ડ મેડલ સાથે ડિપ્લોમા ગ્રેજ્યુએટ થયા હતા. એમણે 300થી વધુ ફિલ્મો ઉપરાંત અનેક ટીવી શોમાં એક્ટિંગ કરી છે.

સચિન તેંડુલકરે જ્યારે ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ત્યારે એમનો ઈન્ટરવ્યૂ લેનાર ટોમ ઓલ્ટર પહેલા વ્યક્તિ હતા.

ઓલ્ટર લેખક પણ છે, એમણે ત્રણ પુસ્તક પણ લખ્યા છે.

કળા તથા ફિલ્મના ક્ષેત્રમાં પ્રદાન કરવા બદલ 2008માં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’ ઈલકાબ આપીને એમનું સમ્માન કર્યું હતું.