વર્લ્ડ કપમાં વરસાદથી ભારતીય વીમાકપંનીઓના શ્વાસ કેમ અધ્ધર થઈ જાય છે…

નવી દિલ્હી– ક્રિકેટ વર્લ્ડની મેચ દરમિયાન વરસાદથી ક્રિકેટ ચાહકોની સાથે સાથે વીમા કંપનીઓની પણ ધડકન વધી જાય છે. વર્લ્ડ કપની મેચ દરમિયાન વરસાદથી વીમા કંપનીઓને પણ મોટું નુકસાન થાય છે. વરસાદને કારણે મેટ ધોવાઈ જતાં વીમા કંપનીઓને 100 કરોડ રૂપિયા સુધીનું નુકસાન ભોગવવું પડે છે.

વર્તમાન વિશ્વકપમાં સેમીફાઈનલ મેચ પહેલા હજુ ભારતને 4 મેચ રમવાની બાકી છે. વીમા કંપનીઓ ઈચ્છે કે, આ મેચો દરમિયાન વરસાદ ન આવે. કારણ કે, મેચ રદ કે અટકે તો તેમની આર્થિક દેવાદાર બને છે. ભારતની વીમા કંપનીઓ પર હજુ પણ વરસાદને કારણે 100 કરોડ રૂપિયાથી વધુનું સંકટ ઉભું છે. બાકી રહેલી મેચોમાં વરસાદ વિધ્ન ઉભું કરે તેવી આશંકા છે. આ વખતના વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં વરસાદને કારણે 4 મેચ રદ થઈ ચૂકી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય બજારનું અંદાજે 150 કરોડનું જોખમ કવર છે. જેમાં ઘણી વીમા કંપનીઓનો હિસ્સો છે. ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ, જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સ અને ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ જેવી મોટી કંપનીઓ સામાન્ય રીતે આ વીમા કવચ ઉપલબ્ધ કરાવે છે.

આ વીમા કવચ મુખ્ય રૂપે બ્રોડકાસ્ટર્સ માટે હોય છે. આ કંપનીઓ બ્રોડકાસ્ટર્સ અધિકારો માટે આઈસીસીને એડવાન્સ પેમેન્ટ કરે છે. જો મેચ રમાઈ તો વીમા કંપનીઓને કોઈ આર્થિક દેવાદારી નથી હોતી. જો મેચમાં વિધ્ન આવે અથવા તો વરસાદને કારણે મેચ રદ થાય તો તેની અસર જાહેર ખબર પર પડે છે. જેથી બ્રોડકાસ્ટર્સને રાજસ્વનું નુકસાન થાય છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી. મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ વરસાદને કારણે વચ્ચે વચ્ચે રોકવી પડી હતી, અને આ મેચમાં ભારતે ડકવર્થ લુઈસ મેથડ પ્રમાણે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતું.