કેરળમાં પૂરસંકટથી મહાસંકટમાં જાણીતી કંપનીઓ, રેવન્યૂ પર અસર

કોચ્ચિઃ કેરળમાં પૂરની સ્થિતિએ છેલ્લા 100 વર્ષની સૌથી ભારે તારાજી સર્જી છે. 90 ટકા જેટલું કેરળ અત્યારે જળમાં છે. કેરળમાં કુલ 16,000 કિલોમીટર રોડ અને 134 પુલ પૂરના કારણે તૂટી ગયા છે. 40 હજાર એકરથી વધારે ખેતીલાયક જમીનનું ધોવાણ થઈ ગયું છે. એસોચેમ અનુસાર આ પૂરથી ઈન્ડસ્ટ્રીને આશરે 20 હજાર કરોડ રુપિયાનું નુકસાન થશે. ઉલ્લેખનીય છે કે કેરળમાં જે કંપનીઓના એક્સપોઝર છે તેમના ધંધા પર માઠી અસર પડી છે. ત્યારે આવો જાણીએ કે કયા સેક્ટરની કંપનીઓને મહાસંકટમાં મૂકી છે.

કેરળમાં આવેલા પૂરથી સૌથી વધારે માર એનબીએફસી, બેંક, વીમા, રબર, ચા, કોફી, ઓટો સહિતની કંપનીઓ પર અસર પડી છે. ઓટો કંપનીઓની વાત કરવામાં અહીંયા મોટી અસર પહોંચી છે. સાઉથ ઈંડિયન બેંકની 855 શાખાઓ પૈકી 464 શાખાઓ કેરળમાં છે જેને ખૂબ મોટી અસર પહોંચી છે. તો મણ્ણપુરમ ફાઈનાન્સની 3331 પૈકી 486 શાખાઓ કેરળમાં છે. જ્યારે મુથૂટ ફાઈનાન્સની 4325 પૈકી 642 શાખાઓ કેરળમાં છે. કેરળમાં ઘણી કંપનીઓના ચા અને કોફીના ખેતરો છે અને એટલા માટે ચા અને કોફીનું નિર્માણ કરતી ઘણી કંપનીઓ પર કેરળના પૂરે આફત લાવી દીધી છે.

દક્ષિણ ભારતની ઘણી સીમેન્ટ કંપનીઓ પર પણ પૂરના કારણે સંકટ આવ્યુંં છે. ઉલ્લેખનીય છે કે નેચરલ રબરની ખેતીમાં કેરળ સૌથી આગળ છે અને દેશમાં નેચરલ રબરનું 52 ટકા જેટલું ઉત્પાદન કેરળમાં થાય છે. ત્યારે રબર અને ટાયર કંપનીઓ પર પણ પૂરની મોટી અસર થઈ છે.

કેરળમાં આવેલા ભયાનક પુરની અસર લીકર ઈન્ડસ્ટ્રી પર પણ પડી છે કારણ કે કેરળમાં આ ઈન્ડસ્ટ્રી પણ વિકસેલી છે. કેરળના પૂરથી રબરનું 40 ટકા જેટલું પ્રોડક્શન ઘટી શકે છે. નેચર રબરની ખેતી કેરળમાં સૌથી વધારે થાય છે. ત્યારે સ્વાભાવિક રીતે રબરનું ઉત્પાદન ઓછું થશે એટલે કંપનીઓને પ્રોડક્શન ખર્ચ વધશે અને પરિણામે વસ્તુઓ મોંઘી થશે.

તો કેરળમાં આવેલા વિનાશકારી પૂરની અસર ઘણી જાણીતી ઈન્શ્યોરન્સ અને ફાઈનાન્સ કંપનીઓ પર પણ પડી છે કારણ કે કેરળમાં આ કંપનીઓનું મોટુ બજાર છે. પૂર બાદ ઈન્શ્યોરન્સ ક્લેમ વધી શકે છે જેની અસર ઈન્શ્યોરન્સ કંપનીઓ પર જોવા મળશે.

કેરળમાં દેશના 30 ટકા જેટલા નારિયળનું ઉત્પાદન થાય છે. કેરળમાં આવેલા ભયાનક પૂરે મોટી બરબાદી સર્જી છે. ત્યારે નારિયળના ઉત્પાદનો બનાવતી અને પોતાના ઉત્પાદનોમાં નારિયળનો ઉપયોગ કરતી કંપનીઓ માટે કેરળમાં આવેલા પૂરે મોટું સંકટ ઉભુ કર્યું છે.