આયાત ડ્યૂટી વધારવા પર નીતિ આયોગે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર અને વડાપ્રધાનની આર્થિક સલાહ કાઉન્સિલના સભ્યોએ દેશમાં મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે આયાત ડ્યૂટી વધારવા માટે બજેટમાં ઉઠાવવામાં આવેલા પગલાઓને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આને સંરક્ષણવાદી પગલું ગણાવ્યું છે.

રાજીવ કુમારે વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં બજેટ પર આયોજિત એક ચર્ચામાં કહ્યું કે આશા રાખું છું કે આ વાત અસ્થાયી હશે. જે રીતે આપણે વિચાર્યું હતું તે રીતે મેક ઈન ઈન્ડિયા સફળ નથી થઈ રહ્યું. જેથી બજેટમાં આયાત ટેરિફ વધારવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી મેન્યુફેક્ચરિંગ મામલે તે પ્રકારનો ટાર્ગેટેડ એપ્રોચ અપનાવી શકાય. જેવી રીતે આપણે મારૂતિ મામલે કર્યો હતો. કુમારે એડવાઈઝરી કાઉન્સિલના સભ્યોને જણાવ્યું કે તેઓ બજેટ પર આ ચિંતાઓની જાણકારી વડાપ્રધાન મોદીને આપે.

કાઉન્સિલના સુરજીત ભલ્લા જેવા સભ્યોએ બજેટમાં શેરો પર એલટીસીજી ટેક્સ લગાવવા માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ભલ્લાએ જણાવ્ચું કે લોંગટર્મ કેપિટલ ગેઈન ટેક્સને બીજીવાર શરૂ કરવું તે સરકારનું અર્થવગરનું નીતિગત પગલું છે, જેનો કોઈ આધાર નથી. તેમણે જણાવ્યું કે બજેટમાં ભલે આને 20 હજાર કરોડ રૂપિયા મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું પરંતુ સરકારને 5 હજાર કરોડ રૂપિયાથી વધારે નહી મળે.