બેંક શેરોની રાહબરી હેઠળ બીએસઈ સેન્સેક્સ 144 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં શરૂની મજબૂતી પછી નરમાઈ આગળ વધી હતી. બેંક શેરોની રાહબરી હેઠળ જોરદાર વેચવાલી ફરી વળી હતી. એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટના પોઝિટિવ ફેકટર પાછળ સવારે શેરોમાં નવી લેવાલી આવી હતી, પણ આરબીઆઈ દ્વારા બેંકોમાં વધતી જતી એનપીએ મામલે કડક વલણ અપનાવ્યું છે, જે સમાચાર પછી બેંક શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. સેન્સેક્સ અને નિફટી પ્લસમાંથી માઈનસમાં જતા રહ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 144.52(0.42 ટકા) ઘટી 34,155.95 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 38.85(0.37 ટકા) ઘટી 10,500.90 બંધ થયો હતો.મંગળવારે શિવરાત્રિની રજા હતી, જે પછી આજે સવારે માર્કેટ પોઝિટિન નોટમાં ખુલ્યું હતું. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કૉલ ઈન્ડિયા, ભારતી એરટેલ અને ટાટા મોટરમાં નવી લેવાલીથી મજબૂતી આગળ વધી હતી. પંજાબ નેશનલ બેંકમાં બોગસ લેવડદેવડ બહાર આવી હોવાના સમાચાર હતા. અને બેંકોમાં વધતી જતી એનપીએનો મુદ્દો ચિંતાજનક છે. જેથી પીએસયુ અને ખાનગી બેંકોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. અને બજાર ઝડપથી ઘટ્યું હતું. એફઆઈઆઈની નેટ વેચવાલી રહી હોવાના સમાચાર હતા. આથી તેજીવાળા ખેલાડીઓએ પણ વેચવાલી કાઢીને ઉભા લેણ સરખા કર્યા હતા.

  • સોમવારે એફઆઈઆઈએ કુલ રુપિયા 814.11 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રુ.1342 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
  • મંગળવારે ડાઉ જોન્સ 39 પોઈન્ટ વધી 24,640 બંધ રહ્યો હતો અને નેસ્ડેક 32 પોઈન્ટ વધી 7013 બંધ થયો હતો.
  • બીએસઈ બેન્કેક્સ 471 પોઈન્ટ તૂટ્યો હતો. તેમજ બેંક નિફટી 360 પોઈન્ટ ગગડ્યો હતો.
  • બીએસઈ પીએસયુ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. પરિણામે બીએસઈ પીએસયુ સેકટરનો ઈન્ડેક્સ 158 પોઈન્ટ માઈનસ હતો.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી સામાન્ય લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 29.02 પ્લસ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 29.31 પ્લસ બંધ હતો.
  • ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 11.8 ટકા ઘટી રુ.131 કરોડ નોંધાયો
  • સનટેક રીયલ્ટીનો નફો 3.4 ગણો વધી રુ.602 કરોડ આવ્યો
  • જીવીકે પાવરનો નફો 10.9 કરોડ નોંધાયો, ગત વર્ષે ત્રીજા કવાર્ટરમાં કંપનીને રુ.70 લાખની ખોટ થઈ હતી.
  • એનસીસીનો નફો 72.2 ટકા વધી રુ.100.40 કરોડ આવ્યો
  • અલહાબાદ બેંકે ત્રીજા કવાર્ટરમાં રુ.1,264 કરોડની ખોટ નોંધાવી છે, 2017ના ત્રીજા કવાર્ટરમાં રુ.75.3 કરોડનો નફો થયો હતો.
  • ગ્રાસિમનો નફો 17.4 ટકા ઘટી રુ.786.90 કરોડ નોંધાયો.
  • ટાટા પાવરનો નફો 9.8 ટકા ઘટી રુ.633 કરોડ આવ્યો.
  • પંજાબ નેશનલ બેંકમાં મોટો ગોટાળો બહાર આવ્યાના સમાચાર છે. બેંકની મુંબઈ બ્રાન્ચમાં 177 કરોડ રુપિયાની બોગસ લેવડદેવડનો મામલો સામે આવ્યો છે. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે.