મોંઘવારી 8 માસની સર્વોચ્ચ સપાટીએ, ઓદ્યોગિક ઉત્પાદન પણ ઘટ્યું

નવી દિલ્હી- અર્થવ્યવસ્થાના મોર્ચે મહત્વના સમાચાર આવ્યા છે. રિટેલ મોંઘવારી દર જૂનમાં 3.18 ટકા પર પહોંચ્યો છે. આ છેલ્લા 8 મહીનાની સૌથી ઊંચી સપાટી છે. જૂન મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) કે ગ્રાહક ભાવાંકની રીતે મોંઘવારીનો દર વધીને 3.18 ટકા નોંધાયો છે. જ્યારે મે મહિનામાં મોંઘવારી દર 3.05 ટકા અને જૂન 2018માં 4.92 ટકા હતો. કઠોળ-દાળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધવાથી મોંઘવારી દરમાં વધારો થયો છે. તો બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદમાં પણ ઘટાડો થયો છે. મે મહિનામાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન 3.1 ટકાના સ્તરે આવી ગયું છે. અગાઉ ઓક્ટોબર 2018માં તે 3.8 ટકા હતું.

જેથી સરકાર માટે મોંઘવારી દરને અંકુશમાં રાખવી, રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખવી અને રિઝર્વ બેન્ક માટે વ્યાજદર ઘટાડવા મુશ્કેલ બન્યા છે.

શુક્રવારે જાહેર થયેલા અધિકારીક આંકડા અનુસાર ઔદ્યોગિક સેક્ટરની વાત કરીએ તો પાવર જનરેશન સેક્ટરની કામગીરી એકંદરે સારી રહી છે અને ગત મે મહિનામાં તેમાં 7.4 ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં તેનો ગ્રોથ રેટ માત્ર 4.2 ટકા જ હતો. માઇનિંગ સેક્ટરનું ઉત્પાદન 3.2 ટકા વધ્યું જે વર્ષ પૂર્વે 5.8 ટકા વધ્યું હતું.  મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો પ્રોડક્શન ગ્રોથ રેટ ઘટીને 2.5 ટકાના સ્તેર આવી ગયો છે જે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 3.6 ટકા નોંધાયો હતો.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટીક્સ ઓફિસ (CSO) દ્વારા જાહેર કરાયેલા મોંઘવારીના આંકડા મુજબ જૂન મહિનામાં ખાદ્ય મોંઘવારી દર 2.17 ટકા રહ્યો હતો. જે મે મહિનામાં 1.83 ટકા હતો. પ્રોટીન યુક્ત ખાદ્ય વસ્તુઓ જેવી કે દાળ, ઈંડા અને માંસ-માછલની કિંમતમાં વધુ વધારો થયો છે.

જો કે શાકભાજી અને ફળના ભાવ વૃદ્ધિનો દર નીચો રહ્યો છે જે મે મહિનાના 5.46 ટકાથી ઘટીને જૂન મહિનામાં 4.66 ટકા રહ્યો છે. તેવી જ રીતે અનાજના ભાવમાં મોંઘવારી દર 1.24 ટકાથી વધીને 1.31 ટકા થયો છે. કપડાં અને ચંપલના ભાવ જૂનમાં 1.52 ટકા વધ્યા છે જ્યારે મે મહિનામાં 1.8 ટકા ભાવ વધ્યા હતા. જૂનમાં કઠોળ-દાળના ભાવ નોંધપાત્ર વધતા સમગ્ર મોંઘવારી દર 8 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ગત જૂન મહિનામાં કઠોળ-દાળના ભાવ 5.68 ટકા વધ્યા છે જ્યારે મે મહિનામાં 2.13 ટકા જ ભાવ ઊંચકાયા હતાં.

રિટેલ મોંઘવારી હજુ પણ આરબીઆઈના લક્ષ્યથી ઓછી

સતત 5માં મહિનાના વધારા છતાં રિટેલ મોંઘવાર દર રિઝર્વ બેન્કના 4 ટકાના લક્ષ્યથી ઓછો છે. મોનિટરી પોલિસીની સમીક્ષા કરતી વખતે આરબીઆઈ રિટેલ મોંઘવારીના દરને ધ્યાનમાં રાખે છે. તે લક્ષ્યની આસપાસ રહેવાના કારણે વ્યાજ દરમાં ઘટોડો થવાની શકયતા છે.