એ જ વ્યાપારના કારણે વધી મુકેશ અંબાણીની મુશ્કેલીઓ

નવી દિલ્હીઃ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જે વ્યાપારના દમ પર દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યાં છે, હવે તે જ વ્યાપાર તેમના માટે મુસીબત બની રહ્યો છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વર્ષો સુધી આખા એશિયા, આફ્રિકા અને યૂરોપમાં તેલનો વ્યાપાર કર્યો અને ખૂબ નફો પણ મેળવ્યો. પરંતુ હવે આરઆઈએલને પેટ્રોલિયમ વ્યાપારમાં દેશમાં મોટી ચૂનોતીનો સામનો કરવો પડી રહ્યો છે. તેલની કીંમતોમાં રેકોર્ડ તેજી બાદ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાના કારણે આરઆઈએલને ઝાટકો લાગ્યો છે. આના કારણે રીલાયન્સને માર્કેટ કેપ મામલે નંબર 1નો તાજ ગુમાવવો પડ્યો.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મિડલ ઈસ્ટમાં ક્રૂડ ઓઈલ પ્રોસેસ કર્યા બાદ ચીન, જાપાન, સાઉથ કોરિયા અને તાઈવાન જેવા દેશોને વેચ્યું. પરંતુ અત્યારે ઓઈલ કંઝપ્શનના મામલે ભારતે જાપાનને પાછળ છોડ્યું તો રીલાયન્સે દેશના ઓઈલ બજારમાં રસ દાખવ્યો અને દેશમાં 1300 સર્વિસ સ્ટેશન ખોલ્યા. અત્યારે રીલાયન્સ આ સંકટો છતા પોતાની યોજના સાથે ટકેલું છે. આ યોજના અતર્ગત રીલાયન્સ આવતા ત્રણ વર્ષમાં બીપી પીએલસી સાથે મળીને 2000 નવા રિટેઇલ સ્ટેશનની યોજના બનાવી રહી છે.

4 ઓક્ટોબરના રોજ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં 2.50 રુપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો તે જ દિવસે રીલાયન્સના શેર 6.9 ટકા ઘટી ગયા અને 28 ઓગષ્ટના રેકોર્ડ સ્તરથી અત્યારે 20 ટકાનો ઘટાડો આવી ગયો છે.

આ ઘટાડાના કારણે રીલાયન્સની માર્કેટ વેલ્યુએશન ઘટીને 6.64 લાખ કરોડ રુપિયા થઈ ગઈ છે. 6.7 લાખ કરોડ માર્કેટ કેપ સાથે ટીસીએસે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.